નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરતમાં ભાજપ સાથે જોડાયેલા યુવા કાર્યકરની જાહેરમાં હત્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. ઉધના વિસ્તારમાં ભાજપના યુવા મોરચાના પદાધિકારી જય દલાલ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, ઉધના રોડ નંબર 6 વિસ્તારમાં ગત રાત્રે આશરે સાડા બાર વાગ્યાની આસપાસ આ હુમલો થયો હતો. મૃતક જય દલાલ ભાજપ સંગઠનમાં ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિય હતા અને ધારાસભ્ય સંગીતાબેન પાટીલ સાથે પણ નજીકથી જોડાયેલા હોવાનું જણાવાયું છે..

પરિવારના જણાવ્યા મુજબ, ઘટના પહેલાં જય દલાલને તેમના એક મિત્રનો ફોન આવ્યો હતો. ત્યારબાદ તેમણે માતાને કહ્યું હતું કે તેઓ મોડા આવશે અને જમવાનું નહીં કરે. મૃતકની માતા જયશ્રીબેન દલાલે જણાવ્યું હતું કે તેમનો પુત્ર રાત્રે ઘરેથી નીકળ્યા બાદ થોડા સમય પછી હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે.

પરિવારે આરોપ મૂક્યો છે કે ત્રણ શખસોએ મળીને જય દલાલ પર જીવલેણ હુમલો કર્યો હતો. મૃતકના પિતા નગીન દલાલે જણાવ્યું હતું કે તેમનો પુત્ર લોનો અભ્યાસ કરતો હતો અને કોઈ સાથે દુશ્મની નહોતી. તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ACP ચિરાગ વાડોદરિયાના જણાવ્યા મુજબ, જય દલાલ પોતાના મિત્રો સાથે ઊભા હતા ત્યારે બાઇક પર આવેલા ત્રણ શખસોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પોલીસ મુજબ, હુમલો કરનારાઓની ઓળખ કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી તરીકે થઈ છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આશરે ત્રણ મહિના પહેલાં મૃતક અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જે આ હુમલાનું કારણ હોઈ શકે છે. પોલીસે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ સહિત સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.








