નવજીવન ન્યૂઝ.જામનગરઃ જામનગરમાં એક યુવાનનો લોહીથી લથબથ મૃતદેહ મળી આવતા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. સીટી એ-ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા બેઠા પુલ નજીક નદીના પટમાંથી એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી, જેને લઈને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે.
મળતી પ્રાથમિક માહિતી મુજબ, પ્રણામી નગર પાછળ આવેલા બેઠા પુલ નજીકથી પસાર થતી નદીના પટમાં એક યુવાનની લાશ પડી હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સીટી એ-ડિવિઝન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. તપાસ દરમિયાન મૃતદેહની નજીકથી એક એક્ટિવા વાહન પણ મળી આવ્યું હતું, જેને પોલીસે કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં મૃતકની ઓળખ તપેન્દ્ર જંખર સાવત (ઉંમર આશરે 28 વર્ષ) તરીકે થઈ છે, જે મૂળ નેપાળનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે DySP જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અકસ્માત છે કે આયોજનબદ્ધ હત્યા, તે અંગે વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
તપાસને વધુ ગતિ આપવા માટે પોલીસ દ્વારા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની મદદ લેવામાં આવી રહી છે. સાથે જ બેઠા પુલ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે, જેથી મૃતક ત્યાં કેવી રીતે પહોંચ્યો તે અંગે સ્પષ્ટ માહિતી મળી શકે.
પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.








