નવજીવન ન્યૂઝ.ભરૂચઃ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ કેમિકલ કંપનીમાં 23 એપ્રિલ 2026ના રોજ થયેલા ભીષણ વિસ્ફોટ અને આગની ઘટનાના પડઘા હવે દિલ્હી સુધી પહોંચી ગયા છે. આ ગંભીર દુર્ઘટનાને લઈને નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) એ મીડિયા અહેવાલોના આધારે સુઓમોટો નોંધ લીધી છે.
આયોગે આ મામલે કડક વલણ અપનાવી ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચ પોલીસ અધિક્ષકને નોટિસ પાઠવી છે. સાથે જ રાજ્ય સરકારને આગામી બે અઠવાડિયામાં સમગ્ર ઘટનાનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 3 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.
આયોગે પોતાના રિપોર્ટમાં કેટલીક મહત્વપૂર્ણ વિગતો માંગેલી છે. તેમાં પીડિતોની હાલત અંગે માહિતી માંગવામાં આવી છે. દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 10 કામદારો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને 3 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તમામની આરોગ્ય સ્થિતિ અંગે વિગતવાર માહિતી માંગવામાં આવી છે.
તે ઉપરાંત, પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ઘટનાની તપાસમાં અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે અને જવાબદાર લોકો સામે શું પગલાં લેવામાં આવ્યા છે તેની પ્રગતિ રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. આ સાથે જ પીડિત પરિવારો અને ઇજાગ્રસ્તોને કોઈ વળતર કે આર્થિક સહાય આપવામાં આવી છે કે નહીં તેની સ્પષ્ટતા પણ આયોગે માંગી છે.
ઉલ્લેખનીય છે કે 23 એપ્રિલની આ આગ અને વિસ્ફોટે ઔદ્યોગિક સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા. હવે જ્યારે માનવ અધિકાર આયોગે આ મામલે હસ્તક્ષેપ કર્યો છે, ત્યારે જવાબદાર અધિકારીઓ અને કંપની સંચાલકો સામે કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.








