નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલા NRI ના બંધ બંગલામાં થયેલી ઘરફોડ ચોરીના પગલે સેક્ટર 7 પોલીસે (Sector 7 Police Station) તપાસ આરંભી છે. આફ્રિકામાં સ્થાયી થયેલા બિઝનેસમેનના બંધ બંગલા (Theft in NRI Businessman’s Bungalow) ને નિશાન બનાવી તસ્કરો રોકડ અને દાગીના સહિત 50 લાખની મતા ઉઠાવી ગયા છે. અત્રે નોંધનીય છે કે, સાયબર ફ્રોડના કિસ્સાઓથી ડરીને બિઝનેસમેને બેંક લૉકર ખાલી કરી દાગીના અને રોકડ ઘરે લઈ આવ્યા હતા.
Gandhinagar સેક્ટર-2 સીમાં બંગલો ધરાવતા પરેશભાઈ શર્મા આફ્રિકા ખાતે હાલમાં જ સ્થાયી થયા છે અને ગત જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર ખાતે આવ્યા હતા. ડિજિટલ યુગમાં બેંકિંગ વ્યવહાર અને લૉકર અસુરક્ષિત હોવાનું માનીને તેમણે જીવનભરની કમાણી રોકડ અને દાગીના બેંક લૉકરમાંથી કાઢી લીધા હતા અને ઘરની તિજોરીમાં મુકી દીધા હતા. ગત માર્ચ મહિનામાં પરેશભાઈ આફ્રિકા પરત ફર્યા હતા. પરેશભાઈના ઘરની સાફ સફાઈ તેમજ સંભાળ રાખવા તેમના બહેન સમયાંતરે આવતા હતા. આજે તેમને ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.








