નવજીવન ન્યૂઝ, રાજકોટ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections Gujarat) આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્યભરમાં ટિકિટ ફાળવણીને લઈને ભાજપ, કૉંગ્રેસ સહિતના પક્ષોમાં વિરોધ અને વિવાદ ચાલી રહ્યાં છે. રાજકોટ શહેરમાં ‘રઘુવંશી યુવા શક્તિ સંઘ’ના બેનર હેઠળ યોજાયેલી સભામાં પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય ડૉ. દર્શિતાબહેન શાહ (Dr. Darshita Shah MLA BJP) સામે ટિકિટ ફાળવણી મામલે આરોપ લગાવ્યા હતા. ડૉ. દર્શિતાબહેને વ્યક્તિગત સ્વાર્થ માટે રઘુવંશી સમાજના ઉમેદવારોની ટિકિટ કાપી છે.

રઘુવંશી સમાજની સભામાં ‘ડૉ. દર્શિતાબહેન શાહ હાય હાય’ તેમજ ‘જ્યાં રઘુવંશી ઉમેદવાર નથી, ત્યાં અમારો વોટ NOTA ને’ જેવા સૂત્રો લખેલા પ્લે કાર્ડ્સ સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સમાજના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો આ અન્યાય ચાલુ રહેશે તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના 40 લાખ રઘુવંશીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરી નવો ઈતિહાસ રચશે. અંતમાં ઉપસ્થિત લોકોએ રઘુવંશી સમાજની શપથ પત્રિકા વાંચી ભાજપને મત ન આપવાના સોગંદ લીધા હતા. Rajkot માં રઘુવંશી સમાજના અઢી લાખ મતદારો છે.








