નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે. 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનાર મતદાનમાં દેશના ટોચના નેતાઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેના કારણે ચૂંટણીને વિશેષ મહત્વ મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં મતદાન કરવા આવી શકે છે. તેમના આગમનને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં મતદાન કરશે. ઉપરાંત, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઘાટલોડિયા વિસ્તારમાં મતદાન કરશે.
તે જ રીતે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ નવસારીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તેવી માહિતી મળી છે.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને નિમુબેન બાંભણિયા પણ પોતાના મતવિસ્તારોમાં મતદાન કરશે.
રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી વચ્ચે મતદાન ટકાવારી અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. તેમ છતાં, દેશના દિગ્ગજ નેતાઓ સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઉભા રહી મતદાન કરે તે યુવાનો અને પ્રથમ વખત મતદાન કરનારા માટે પ્રેરણાદાયક બની શકે છે.
ચૂંટણી આયોગ દ્વારા મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે ગરમી વચ્ચે મતદારોમાં કેટલો ઉત્સાહ જોવા મળે છે.








