નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે. રાજકીય પક્ષોએ ઉમેદવારોના નામની જાહેરાત તેમજ પ્રચાર શરૂ કરી દીધો છે તેની વચ્ચે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પર રોક લગાવવા અરજી (Petition to stay elections in Supreme Court) થઈ છે. પાટીદાર નેતા દિનેશ બાંભણીયા (Dinesh Bambhania) એ અનામત નીતિ મુદ્દે દેશની સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવ્યાં હોવાનું સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે.
Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત મહિનાની શરૂઆતમાં થઈ હતી. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત માટે ચૂંટણીનાં મંડાણ થઈ ગયાં છે. 11મી એપ્રિલ સુધીમાં ઉમેદવારો ચૂંટણી ફૉર્મ ભરી શકશે અને બે દિવસ પછી તેની એટલે કે 13મી એપ્રિલના તેની ચકાસણી હાથ ધરવામાં આવશે. 15મી એપ્રિલ સુધીમાં ઉમેદવાર પોતાનું ફૉર્મ પરત ખેંચી શકશે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાતની સાથે જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે, જેથી રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજ્યના એકમો મતદારોને પ્રભાવિત કરે, તેવી જાહેરાતો નહીં કરી શકે.








