નવજીવન ન્યૂઝ, અમદાવાદ : બજારમાંથી લવાયેલા ખીરામાંથી બનેલાં ઢોસા ખાવાથી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીઓના શંકાસ્પદ મોત (Suspicious Death of Two Girls) ના કિસ્સામાં મોટો ઘટસ્ફોટ થયો છે. હૉસ્પિટલમાં દાખલ મૃતક બાળકીઓના માતા-પિતાના બ્લડ સેમ્પલમાં ઉંઘની દવાના કન્ટેન્ટ મળી આવ્યા છે. આ ઉપરાંત ઝીંક અને એલ્યુમિનિયમની પણ હાજરી મળી છે. મૃતક બાળકીઓ પોસ્ટમોર્ટમ અને વિશેરા સેમ્પલના FSL રિપૉર્ટ મેળવવા ચાંદખેડા પોલીસ (Chandkheda Police) પ્રયત્નશીલ બની છે. સમગ્ર કેસની તપાસમાં ફૉરેન્સિક રિપોર્ટ અને તબીબોના અભિપ્રાય મહત્વના છે. પોલીસ હૉસ્પિટલ બિછાને રહેલાં દંપતી તેમજ પરિવારના સભ્યોની પૂછપરછ કરી શંકાસ્પદ મોતના ચર્ચાસ્પદ કેસમાં સત્ય સુધી પહોંચશે.
ફૉરેન્સિક રિપોર્ટના પગલે હવે ચાંદખેડા પોલીસ દ્વારા હત્યા કે આત્મહત્યાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રો મુજબ તૈયાર ખીરાના ઢોસા ખાવાના કારણે બે બાળકીઓના મોત થાય અને માતા-પિતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ થાય તે આરોપ અંગે સૌને શરૂઆતથી જ શંકા હતી. જેને લઈને હવે પોલીસ દ્વારા બ્લડ સેમ્પલના રિપોર્ટ (Blood Sample Report) ના આધારે તપાસ આગળ ધપાવી છે. પ્રજાપતિ દંપતીના બ્લડમાં મળી આવેલા ક્ન્ટેન્ટ બાદ પોલીસે ઘરમાં તપાસ કરી તો ઘઉંમાં નાંખવાની દવા મળી આવી છે.
વિમલ પ્રજાપતિ જે સમયે દુકાનમાંથી ઢોંસાનુ ખીરૂ લીધું તે પછી તે કેટલાં વાગે ઘરે પહોંચે છે તે જાણવા ચાંદખેડા પોલીસે સીસીટીવી ફૂટેજ (CCTV Footage) તપાસવાના શરૂ કર્યા છે. પોલીસને શંકા છે કે, ઢોંસાનું ખીરૂં ખરીદ્યા બાદ તે ક્યાંક રોકાયા હોઈ શકે છે. ઘનશ્યામ ડેરીથી લઈને વિમલ પ્રજાપતિના ઘર સુધી જેટલા પણ CCTV Camera છે તેના ફૂટેજ તપાસશે. પોલીસનું માનવું છે કે, જો ડેરીના ખીરામાં સમસ્યા હોય તો અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થવી જોઈએ, પરંતુ તેવું થયું નથી. અત્રે નોંધનીય છે કે, ગત 7 એપ્રિલના રોજ FSLની હાજરીમાં ત્રણ માસની બાળકી રાહાનો મૃતદેહ બહાર કાઢી પીએમ કરી જરૂરી સેમ્પલ લેવાયા છે.








