નવજીવન ન્યૂઝ, પાલનપુર : Banaskantha ના મુખ્ય મથક પાલનપુર શહેરમાં 23 માર્ચના રોજ ગુમ થયેલી મહિલાના કેસમાં હત્યાનો ખુલાસો થયો છે. પાલનપુર પશ્ચિમ પોલીસે હત્યા કેસનો ભેદ ઉકેલી સળગાવી દીધેલી લાશ સુધી પહોંચી છે. પોલીસે સોના અને રોકડની મોટી લેવડદેવડમાં હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલા દંપતી સહિતના આરોપીઓની માહિતી મેળવી હત્યારણની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓની પોલીસે શોધખોળ આરંભી છે.
ગુમ મહિલાની શોધખોળમાં હત્યાનો ખુલાસો થયો
પાલનપુર શહેર (Palanpur City) માં રહેતા શાંતિબહેન આંકડીવાળા દૂધ લેવા નીકળ્યા બાદ ઘરે પરત નહીં ફરતા ગત 23 માર્ચના રોજ આ મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધાઈ હતી. આ કેસમાં મોબાઈલ ફોન લૉકેશન અને ટ્રેકિંગના આધારે શાંતિબહેન હનુમાન ટેકરી વિસ્તારમાં ગયા હોવાનું જાણવા મળ્યું હતું. હોમ ફર્નિચર વેચાણ કરતા રેખા રાઠોડ (રહે. ગુલબાઈ ટેકરા, અમદાવાદ હાલ દેલવાડા, બનાસકાંઠા) આ મામલે શંકાના પરિઘમાં આવતા તેમની પીઆઈ અંકુર દેસાઈ (PI Ankur Desai) એ પૂછપરછ કરતા તેમણે હત્યાનો ગુનો કબૂલ્યો હતો.
કેવી રીતે હત્યા કરી પુરાવાનો નાશ કર્યો ?
પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન (Palanpur West Police Station) ખાતે રેખાએ હત્યાનો ગુનો કબૂલતા કહ્યું કે, પ્રસાદમાં નશાકારક વસ્તુ ખવડાવી શાંતિબહેન વસંતભાઈ આંકડીવાળાને બેભાન કરાયા હતા. ત્યારબાદ રેખાના પતિ સહિતના અન્ય આરોપીઓની મદદથી ધાતુના વાયર વડે ગળે ટૂંપો આપી તેમની હત્યા કરી મૃતદેહને કપડામાં લપેટી પ્લાસ્ટીકના કોથળામાં ભરી છકડામાં દેલવાડા તરફ લઈ ગયા હતા. દેલવાડામાં લોકોની અવરજવર હોવાથી તેમની લાશને અન્ય સ્થળે એટલે કે, પાલનપુર ઈન્કમટેક્સ ઑફિસથી નજીક આવેલા ટાફે ટ્રેક્ટરના બંધ પડેલા શૉ રૂમના ભોંયરામાં લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવી દીધી.
રેખાએ કેમ શાંતિબહેનની હત્યાનું કાવતરૂં રચ્યું ?
હત્યા કેસની આરોપી રેખા રાઠોડે Palanpur Police ની પૂછપરછ દરમિયાન રૂપિયાની લેવડદેવડ હત્યા માટે કારણભૂત હોવાની વાત કરી હતી. રેખાને શાંતિબહેનના પતિ વસંતભાઈએ ધર્મની બહેન માની હતી. રેખાએ ધંધા માટે તેમજ પશુપાલન માટે શાંતિબહેન પાસેથી સોનું તેમજ રોકડ રૂપિયા ઉછીના લીધા હતા. શાંતિબહેન રેખા પાસે 79 તોલા સોનું અને બે લાખ રોકડાની ઉઘરાણી કરતા હતા. સોનું તેમજ રોકડ પરત આપવું ના પડે તે માટે શાંતિબહેનની હત્યાનું કાવતરૂં ઘડી કાઢવામાં આવ્યું હતું.








