૪૮ નાકા પોઈન્ટ પર રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ, ડ્રોન સર્વેલન્સ અને સિવિલ ડ્રેસમાં પોલીસની વોચ: નશાખોરો અને પાર્ટી કરનારાઓ સામે કડક કાર્યવાહીના સંકેત
અરવલ્લી(જય અમીન. નવજીવન ન્યૂઝ) : થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ચુસ્ત અમલ થાય અને પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી નશાકારક પદાર્થોની હેરાફેરી ન થાય તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. ગુજરાત-રાજસ્થાનની સરહદો પરથી મોટા પાયે દારૂ ઘૂસાડવાની શક્યતાઓને જોતા એસપી મનોહરસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાની ૮ આંતરરાજ્ય અને ૧૦ આંતર જિલ્લા બોર્ડરો પર રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં દારૂબંધી હોવાથી સરહદી વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે જેથી ઉજવણીના નામે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય. સમગ્ર જિલ્લામાં ૪૮ જેટલા નાકા પોઈન્ટ ઉભા કરી દેવાયા છે, જ્યાં એસઓજી, એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડ સહિત ૪ ડીવાયએસપી, ૧૯ પીઆઈ, ૩૧ પીએસઆઈ અને ૭૬૧ પોલીસ કર્મીઓ દ્વારા સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

બોર્ડર વિસ્તારના રતનપુર અને ઉન્ડવા જેવા સંવેદનશીલ પોઈન્ટ પર છેલ્લા ત્રણ દિવસથી પોલીસની ચાંપતી નજર છે. ખાસ કરીને ફાર્મ હાઉસ અને હોટલોમાં યોજાનારી મોડી રાત્રિની પાર્ટીઓ પર રોક લગાવવા અને દારૂ પીધેલા તત્વોને પકડવા માટે પોલીસ બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી રહી છે. આ ઉપરાંત, ટેકનોલોજીની મદદ લેતા અગત્યના સ્થળો પર ડ્રોન સર્વેલન્સ અને સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ભીડભાડ વાળા વિસ્તારો અને શંકાસ્પદ સ્થળોએ પોલીસ જવાનો સિવિલ ડ્રેસમાં તૈનાત કરવામાં આવ્યા છે જેથી સાદા વેશમાં રહીને પણ અસામાજિક તત્વો પર વોચ રાખી શકાય. કોઈપણ અઘટિત ઘટનાને પહોંચી વળવા માટે ક્યુઆરટી અને બીડીડીએસની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે દારૂબંધીનો ભંગ કરનારા કે નશો કરીને વાહન ચલાવનારાઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








