નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીનો ખેલ બગાડ્યો છે. વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાની જીત પછી ભાજપે એક નવો ખેલ પાડ્યો અને આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યએ પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપી દીધું છે. નવજીવન ન્યૂઝ 15 કલાક પહેલા કહ્યું હતું કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા રાજીનામુ આપી રહ્યા છે.
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગોપાલ ઈટાલિયાની જીત પછી રાજીનામુ આપ્યું છે. જોકે આ રાજીનામું ઘણું રાજકારણ કરીને આપવામાં આવ્યો છે. તેમાં રાજકારણ શું રમાયું છે તે પણ જાણીશું. મકવાણા લાંબા સમયથી પક્ષથી નારાજ હતા. હવે જ્યારે વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાની જીત પછી તેમનું પક્ષમાં કદ પણ વધવાનું હતું. મકવાણા વિસાવદરમાં પ્રચાર કે ફોર્મ ભરવા સહિતની કામગીરીમાં ક્યાંય દેખાયા નહીં ત્યાંથી જ આ સંકેતો મળી રહ્યા હતા.
ગોપાલ ઈટાલિયા ચૂંટણી અધિકારીનું પ્રમાણપત્ર લઈ વિધાનસભામાં ધારાસભ્ય તરીકેની શપથ લે તે પહેલા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આપના દંડક તરીકે અને પાર્ટીના હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. તેમાં રાજકારણ એવું રમાયું છે કે, નિયમ પ્રમાણે જો તેઓ પક્ષમાંથી રાજીનામું આપી દે તો ધારાસભ્ય પદ જતું રહે પરંતુ તેમણે માત્ર હોદ્દાઓ છોડ્યા અને કહ્યું કે ધારાસભ્ય પદ છોડવું કે નહીં તે બોટાદની જનતા નક્કી કરશે. બીજો નિયમ એવો પણ છે કે, જો તેઓ પક્ષ ના છોડે અને હવે પાર્ટી તેમને કાઢી મુકે તો પાર્ટીમાંથી ભલે જાય છતાં તેમનું ધારાસભ્ય પદ યથાવત રહે અને આખરી નિર્ણય વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવે કે તેમનું ધારાસભ્ય પદ ચાલુ રાખવું કે કેમ? અને આપ જાણો છો કે વિધાનસભાના અધ્યક્ષ પદ પર શંકર ચૌધરી છે.
આમ ધારાસભ્ય પદ બચાવીને આપ પક્ષને ધોયા મોંઢા જેવું થાય તો નવાઈ નહીં. હવે આગળ આ રાજકારણ કેવા વળાંક લે છે અને ઉમેશ મકવાણાનો ધારાસભ્ય પદ બચાવવાનો પ્લાન કેટલો સફળ રહે છે. કે પછી દંડક તરીકે પદ મુકીને આ પદ ગોપાલ ઈટાલિયા માટે ખાલી કરાયું છે તેની ખબર પડશે.








