નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આંતકવાદી પ્રવૃત્તિઓ અટકી ગઈ હતી, પરંતુ આજે ગુજરાત ATSએ (Gujarat ATS) અમદાવાદમાંથી (Ahmedabad) ચાર લોકોની ધરપકડ કરી છે. આ ચારેય લોકો બાંગ્લાદેશના (Bangadesh) છે અને તેઓ પ્રતિબંધિત આતંકી (Terrorist) સંગઠન અલ-કાયદા (al-Qaeda)સાથે જોડાયેલા છે અને ભારતમાં તેનો પ્રચાર પ્રસાર કરવાનું કામ કરી રહ્યા હતા. પકડાયેલા આરોપીઓનો મુખ્ય સૂત્રધાર બંગલાદેશમાં બેસીને તેમનો દોરીસંચાર કરતો હતો. આ આરોપીઓ પાસે વિદેશી ફંડ પણ આવ્યું હોવાનું ગુજરાત ATSના ધ્યાને આવ્યું છે. આ ફંડ દ્વારા આ આરોપીઓ ગુજરાતમાં કોઈ ષડયંત્રને અંજામ આપી રહ્યા હતા કે નહીં તે દિશામાં પણ ગુજરાત ATS તપાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત ATSને બાતમી મળી હતી કે, અમદાવાદનાં નારોલ વિસ્તારમાં ચાર જેટલા બાંગ્લાદેશી યુવકો ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો બનાવીને રહે છે, આ ચાર યુવકો આતંકી સંગઠન અલ-કાયદા સાથે સંકળાયેલા છે અને ગુજરાતમાં યુવાનોને અલ-કાયદામાં જોડાવવા માટે કટ્ટરપંથી બનાવી રહ્યા છે. આ બાતમીના આધારે ગુજરાત ATSએ આ ચારેય યુવકોની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.
ATSની તપાસમાં સામે આવ્યું છે કે આ ચારમાંથી સોજીબ નામનો યુવક મુખ્ય છે અને અન્ય ત્રણ મુન્ના અંસારી, અઝારૂલ અંસારી અને આકાશખાન તેના સાગરીતો છે. આ ચારેય આરોપીઓ ગુજરાતમાં મુખ્યત્વે મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથીના માર્ગે દોરીને અલ-કાયદામાં જોડવાનું અને ગુજરાતમાંથી ફંડ એકત્ર કરવાનું કામ કરતાં હતા. હાલ ગુજરાત ATSએ આ ચારેય આરોપીઓ સામે UAPA ની કલમો 38, 39 અને 40 તેમજ IPCની અન્ય કલમો મુજબ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, સોજીબ તેના બગલાદેશના સંપર્કોના કારણે શાયબા નામના એક વ્યક્તિને મળ્યો હતો, આ વ્યક્તિએ સોજીબને અલ-કાયદા સાથે પરિચય કરાવ્યો હતો અને તેમાં જોડાવવા કહ્યું હતું. ત્યાં બાદ અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે મળીને સોજીબને ગુજરાતનાં વધુ યુવાનોને અલ-કાયદામાં જોડવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જેના માટે આ લોકો કટ્ટરપંથી વિચારધારા ધારવતા લોકોને ટાર્ગેટ કરતાં હતા. પોલીસને જાણવા મળ્યું છે કે આ આરોપીઓ અનેક લોકોના સંપર્કમાં હતા અને તેમની પાસેથી ફંડ પણ એકત્ર કરતાં હતા. આ લોકો કોણ છે અને ક્યાં છે તે દિશામાં પણ હાલ ગુજરાત ATS તપાસ કરી રહી છે.
આ અંગે ATSના વડા દિપેન્દ ભદ્રને પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, સોજીબ અને તેના સાગરીતો અમદાવાદમાં ખોટા દસ્તાવેજા ઉભા કરી અમદાવાદ રહેતા હતા અને લોકોને બ્રેઈન વોશ કરી બાંગ્લાદેશ મોકલતા હતા. જે લોકો બાગ્લાદેશ જાય તેમને હથિયારની તાલીમ આપવામાં આવતી હતી. હાલ ગુજરાત ATS દ્વ્રારા બાગ્લાદેશના સોજીબ મીયા, આકાશ ખાન, મુન્ના ખાન અને અબ્દુલ લતીફ ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો અલ-કાયદા સાથે જોડાયેલા છે અને અન્ય લોકોને પણ જોડાવવા પ્રેરિત કરતા હતા. સંસ્થાના નામે ભંડોળ એકત્રિત કરી બાગ્લાદેશ મોકવામાં આવતુ હતું.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








