વિશાલ મિસ્ત્રી (નવજીવન.રાજપીપળા): વૈષ્ણવ દેવી મંદિર નાસભાગમાં 12 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 14 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે નાસભાગ મચી હતી. આ ઘટના ત્રિકુટા પહાડીઓ પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર બની હતી. આ અકસ્માત અડધી રાત્રે લગભગ 2.45 કલાકે થયો હતો. આ નાસભાગમાં રાજપીપળા જોષી પરિવારના 6 સભ્યો પણ ફસાયા હતા. જોકે એ તમામ લોકો હેમખેમ રીતે નીચે ઉતરવામાં સફળ રહ્યા હતા. રાજપીપળાના જોશી પરિવારના સભ્યો 27 મી ડિસેમ્બરે અમદાવાદથી વૈષ્ણવ દેવી મંદિરે જવા નીકળ્યા હતા. 31મી ડિસેમ્બરે રાત્રે તેઓ વૈષ્ણવદેવી મંદિરે જવાના રસ્તે પહોંચ્યા હતા દરમિયાન આ ઘટના બની હતી.
આ ઘટનાને લાઈવ નિહાળનાર પાર્થ જોશીએ જણાવ્યું હતું કે આ ઘટના ઘટી ત્યારે અમે મંદિરથી 500-700 મીટર દૂર હતા.મંદિરે આવવાના રસ્તે પબ્લિક ઉતરી રહી હતી અને જવાના રસ્તે પબ્લિક ઉપર ચઢી રહી હતી.જેથી લોકો વચ્ચે અથડામણ થતી હતી, દરમિયાન કોઈક લોકો વચ્ચે મગજમારી થઈ હતી અને લોકોએ બુમાં બૂમ કરતા નાસભાગ મચી હતી. આ નાસભાગમાં મેં ઘણા લોકોને મૃત્યુ પામતા અને ગંભીર ઘાયલ થતા પણ જોયા છે. મંદિર પરિસરમાં વ્યવસ્થાનો મોટો અભાવ હતો એમનો 100% વાંક છે. એ દિવસે આશરે 8-9 લાખ લોકો આવી પહોંચ્યા હતા, મંદિર પ્રશાસન આટલી મોટી સંખ્યામાં લોકોને જો હેન્ડલ ન કરી શકતા હોય તો આટલા બધા લોકોને દર્શન કરવાના પાસ ઈશ્યૂ કરવાની કોઈ જરૂર ન્હોતી.
એક 18 અને બીજી 20 વર્ષની છોકરી મારી પાસે રડતી રડતી આવી તો મેં એમને નજીકના બેરીકેટ પર ચઢાવી દીધી હતી
પાર્થ જોશીએ જણાવ્યું હતું કે અમે 31 મી તારીખે રાત્રે 9 વાગે મંદિરે જવાનું શરૂ કર્યું હતું, રાત્રે અઢી વાગે મંદિરથી 600-700 મીટર પેહલા જ આ ઘટના ઘટી.મારા પરિવારના 6 સભ્યો 3 ગ્રુપમાં હતા એ બધા અલગ થઈ ગયા, લગભગ 1 કલાક પછી અમે બધા ભેગા થયા.એ દરમિયાન મહારાષ્ટ્રની એક આશરે 18 અને બીજી 20 વર્ષની છોકરી મારી પાસે રડતી રડતી આવી તો મેં એમને નજીકના બેરીકેટ પર ચઢાવી દીધા હતા. બધાએ જ સ્કાફ અને માસ્ક પહેર્યા હતા એટલે કોણ કોનું સંબંધી છે એ ઓળખાતું જ ન્હોતું. એનાઉન્સમેન્ટ પણ લોકો જાતે જ કરતા હતા પછી એ બે મહારાષ્ટ્રની છોકરીઓ સાથે મારુ આખું પરિવાર 3 નંબર ગેટ પર એરટેલના બુથ પર ભેગા થયા.
શરૂઆતની 10 મિનિટની કપરી સ્થિતિ પબ્લિકે જાતે હેન્ડલ કરી
પાર્થ જોશીએ જણાવ્યું હતું કે શરૂઆતની 10 મિનિટની કપરી સ્થિતિ તો પબ્લિકે જાતે હેન્ડલ કરી હતી. જ્યારે મૃતકોની લાશ બહાર કાઢવાનો સમય આવ્યો ત્યારે 20 મિનિટ પછી પ્રસાશન ત્યાં આવ્યું હતું. આ ઘટનાના 2 કલાક પછી મંદિર બંધ કરાયું હતું. લોકો માટે કેવી વ્યવસ્થા કરાઈ છે એ બાબતનું મંદિર પ્રશાસન તરફથી કોઈ એનાઉન્સમેન્ટ કરાયું ન્હોતું. જો પ્રસાશને મોટી સંખ્યામાં પાસ ઈશ્યૂ કર્યા ન હોત અને મોટી સંખ્યામાં લોકોને આવતા અટકાવ્યા ન હોત તો આ ઘટના ન બનત.
રાજપીપળાના જોશી પરિવારના કોણ કોણ ફસાયા હતા?
રાજપીપળાના સુભાષભાઈ જોશી (ઉ.વ 63), હેમલતાબેન જોશી (ઉ.વ 55), પાર્થ સુભાસભાઈ જોશી (ઉ.વ 29), મનાલીબેન પાર્થ જોશી (ઉ.વ 25), ઐશ્રી પાર્થ જોશી (ઉ.વ 2) તથા શૌર્ય દર્શન જોશી (ઉ.વ 9) વૈષ્ણવ દેવી મંદિરમાં થયેલી નાસભાગમાં ફસાયા હતા.
અચાનક પાછળથી ટોળું આવ્યું અને અફરા તફરી મચી
પાર્થ જોશીના પત્ની મનાલી જોશીએ જણાવ્યું હતું કે અચાનક પાછળથી એક ટોળું આવ્યું અને અફરા તફરી મચી ગઇ, અવ્યવસ્થા સર્જાઈ હતી. બાદમાં મોટી જાન હાનિ સર્જાઈ હતી. અમે એકબીજાથી વિખુટા પડી ગયા હતા, એનાઉન્સમેન્ટ કર્યાના એક કલાક પછી અમે ભેગા થયા અને ઘોડા-ડોલીની મદદથી અમે નીચે ઉતર્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












