નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ પણ ગોંડલમાં જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ રિબડા વચ્ચેનો વિવાદ સભ્યો નથી. એવામાં જયરાજસિંહે રિબડામાં એક સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. બાદમાં વિખવાદ સર્જાયો અને રિબડા ગામમાં માથાકૂટ થયાના મેસેજ ફરતા થયા હતા. મેસેજને પોલીસે અફવા ગણાવી હતી પરંતુ બાદમાં આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરૂધ્ધસિંહ અને તેમના પુત્રો વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે ફરીથી આજે રિબડા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા, જયરાજસિંહ જાડેજા સહિતના પટેલ આગેવાનો પણ હાજર રહ્યાં હતા. આ તકે ભાષણમાં રીતસરના તણખા ઝરતા હોય તેમ જોવા મળતા વિવાદ હજુ પણ ઘેરાઈ તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.
તાજેતરમાં જ ગોંડલના રિબડા ખાતે જયરાજસિહં જાડેજાની ઉપસ્થિીતમાં પટેલ આગેવાનો દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જયરાજસિંહે વકતવ્યમાં અનિરૂધ્ધસિંહ અને તેમના જૂથને આડેહાથ લેતા જોવા મળ્યા હતા. બાદમાં ગતરોજ સાંજના સમયે રિબડામાં પટેલ યુવકો સાથે અનિરૂધ્ધસિંહ અને તેમના પુત્રએ બબાલ કરી હોવાના મેસેજ ફરતા થાય હતા. ઘટનાની જાણ થતા જ જયરાજસિંહ જાડેજા સહિત મોટી સંખ્યમાં લોકો રિબડા ખાતે ઉમટી પડ્યા હતા. આ મામલાને પોલીસ અફવા ગણાવ્યો હતો પરંતુ બાદમાં તે મામલે ગુનો નોંધી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પોલીસે અનિરૂધ્ધસિંહ જાડેજા તેમના પુત્ર રાજદિપસિંહ અને સત્યજીતસિંહ સહિતના આરોપીઓ વિરૂધ્ધ પણ ગુનો નોંધ્યો હતો. બાદમાં જયરાજસિંહે આજરોજ 22 ડિસેમ્બરના રોજ રિબડામાં સભા યોજવાની જાહેરાત કરી હતી. જાહેરાત મુજબ સભાનું આયોજન થાય તો બંને જૂથ વચ્ચે ફરી બબાલ થાય તેવી ભીતીને પગલે મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
જયરાજસિંહે આજરોજ રિબડાની જાહેરસભા યોજી હતી તેમાં તેમના પત્ની ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પુત્ર ગણેશ પણ જોવા મળ્યો હતો. સાથે જ મોટી સંખ્યામાં મહિલાઓ અને પટેલ આગેવાનો હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના કેટલાક સદસ્યો પણ આ સભામાં હાજર જોવા મળ્યા હતા. પરંતુ સભામાં લગભગ દરેક આગેવાને ભાષણમાં અનિરૂધ્ધસિંહ અને તેમના પરિવાર પર અન્યાય અને લોકોને લૂંટવા તેમજ અનૈતિક કમાણી કરી લોકોને ગુલામ બનવતા હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે જ રિબડા અને આસપાસના ગામના ખેડૂતોની જમીન હડપ કરવાના પણ આરોપ આ સભાના મંચ પરથી કરવામાં આવ્યા હતા. ગીતાબા જાડેજાએ પણ આ સભાને ધર્મસભા ગણાવતા કહ્યું હતું, સત્યનો વિજય થશે અને હું તમારા દરેક પ્રશ્નમાં સાથે રહીશ તેની ખાતરી આપું છું.
આ તકે જયરાજસિંહ જાડેજાએ પણ કહ્યું હતું કે, વર્ષ 1998થી હું નાથવાનું કામ કરતો રહ્યો છું પણ હું નવો નિશાળીયો હતો માટે હું નાથમાં ભૂલ કરી ગયો મને દોરી જોઈ એવી મળી નહીં અને થોડા વખત બાદ તૂટી ગઈ. ઈશારા ઈશારામાં પશુઓની વાત કરતા તેમનો ઈરાદો વિરોધી પર પ્રહાર કરવાનો હતો તે સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. બાદમાં તેમણે કહ્યું કે ફરી નાથ પહેરાવતા બળદ બંધ થઈ ગયો, પણ ટીંડક ટોળી મેદાને આવી હતી. 22 ડિસેમ્બરના દિવસને રિબડા માટે આઝાદીની તારીખ હોવાનું કહેતા તેમણે કહ્યું હતું અને સાથે જ કહ્યું કે ફરી મળશું અને ઉજાણી કરશું. લોકોને કોઈનાથી ડરવાની જરૂર નથી જરૂર પડે તો મને ફોન કરજો હું તમારા ઘરે આવી બેસી જઈશ તેવું જણાવી લોકોને ધરપત આપવા પ્રયાસ કર્યો હતો.
ટૂંકમાં કહીએ તો ચૂંટણી પછી અપેક્ષિત વિવાદ હજુ પણ વકરે તેવી સ્થિતીમાં આવીને ઉભો રહ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં રાજકારણની દિશા નક્કી કરશે કે આ વિવાદની ગતિ કેવી અને કેટલી રહેશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








