નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે જાહેર થયા બાદ ઉમેદવારો જાહેર કર્યા બાદ કોંગ્રેસ સામે કોંગ્રેસના જ કાર્યકરો અને નેતાઓ પાર્ટીને બાનમાં લેવાના પ્રયત્ન કરી રહ્યા છે. અલગ-અલગ બેઠક પરના નારાજ કાર્યકર્તા અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કરવા પહોંચ્યા છે. હાલ ઉમરેઠ વિધાનસભાના કાર્યકર્તાઓ બસ ભરીને વિરોધ કરવા માટે આવી પહોંચ્યા છે. આ કાર્યકરો NCP અને કોંગ્રેસના ગઠબંધનનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે.
કોંગ્રેસ અને NCP વચ્ચે નરોડા, ઉમરેઠ અને દેવગઢ બારિયા બેઠકને લઈને ગઠબંધન કરવામાં આવ્યું છે. જેને લઈને કોંગ્રેસમાં વિરોધનો સુર જાગ્યો છે. કાર્યકર્તાઓ ગઠબંધનનો વિરોધ કરવા માટે કાર્યાલય પર પહોંચ્યા છે. ત્યારે હાલ ઉમરેઠ વિધાનસભાના કાર્યકરો બસ ભરીને અમદાવાદ કાર્યાલય પર આવી પહોંચ્યા છે. વિરોધ કરવા પહોંચેલા નેતાઓએ કોંગ્રેસ કાર્યાલય બાનમાં લઈ NCP સાથેના ગઢબંધનના નિર્ણયનો વિરોધ કર્યો હતો.
વિરોધ કરવા પહોંચેલા નેતાઓનું કહેવું છે કે, 2017માં 1883 મતે કપિલાબેન ચાવડા હાર્યા હતા. છતાં પણ કોંગ્રેસ સાથે રહ્યાં હવે ગઠબંધન કરી અન્યાય કર્યો છે. નગરપાલિકાના કાર્યકરો અને તાલુકા પંચાયતના સભ્યો જોડે ઘોર અન્યાય થયો છે.
આ તકે કોંગ્રેસ કાર્યાલય પર હાજર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહે મિડીયાને કહ્યું કે, કાર્યકરોની લાગણી પ્રભારી અશોક ગહેલોત અને અધ્યક્ષ જગદીશ ઠાકોર સુધી પહોંચાડવામાં આવશે. તેમણે ઉમેર્યું કે ગઠબંધનનો નિર્ણય હાઈકમાન્ડ કરશે.
ગુજરાત કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ રોજ કોંગ્રેસ કાર્યાલય પર નારાજ નેતાઓની ગતિવિધિ વધી ગઈ છે. આજે સવારે જ જમાલપુર-ખાડિયા બેઠક પર ઈમરાન ખેડાવાલાનું નામ જાહેર થતાં નારાજ કાર્યકર્તાઓ કાર્યાલય ખાતે ઘસી આવ્યા હતા. ટોળા સ્વરૂપે ઘસી આવેલા કાર્યકરોએ ભરતસિંહ સોલંકીનો નામજોગ વિરોધ કરતા આક્ષેપ કર્યો હતો કે, ભરતસિંહ સોલંકીએ રૂપિયા લઈ ઈમરાન ખેડાવાલાને ટિકીટ આપી છે.








