નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજકોટના શહેરના ગોંડલ રોડ પર રહેતી તરૂણીએ ગળેફાંસો ખાઈને આપધાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જોકે તરૂણીના આપધાત પાછળનું કારણ તેના પ્રેમીએ જેલની અંદર જીવન ટૂંકાવ્યું હોવાના કારણે તરૂણીએ પણ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રેમીના આપધાતના પાંચમાં દિવસે જ તરૂણીએ ધરમાં ગળેફાંસો ખાધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના ગોંડલ રોડ પાસે લોહાનગરની તરૂણી અને તેના પાડોશમાં રહેતા દિપક ચારોલિયા ગત 2 જુલાઈના રોજ બંને ઘરેથી ભાગી ગયા હતા. જોકે તરૂણીના પિતાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે દિપક સામે અપહરણ અને પોક્સો સહિતીની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો. ગત 5 ઓગસ્ટે પોલીસે દિપકની ધરપકડ કરીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. ગત 20 તારીખે દિપકે જેલમાં બારીના સળિયા સાથે ટુવાલ બાંધીને ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો.
પ્રેમી દિપકે ગળેફાંસો ખાઈ લીધો હોવાના સમાચાર તરૂણીને મળતા ગઈકાલે વહેલી સવારે ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારની તરૂણી જોવા ન મળતા શોઘખોળ શરૂ કરી હતી આ દરમિયાન તેમના બીજા મકાનમાં તરૂણીનો લટકતો મૃતદેહ જોવા મળ્યો હતો. પરિવારે તરૂણીને નીચે ઉતારીને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તરૂણીને મૃત જાહેર કરી હતી. તરૂણી અને દિપક એક જ વિસ્તારમાં રહેતા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. જેથી બંને લોકો ઘરેથી ભાગી ગયા હતા. પરંતું તરૂણ વયની હોવાના કારણે તરૂણીના પિતાએ ફરિયાદ નોંધાવતા અપહરણ અને પોક્સો સહિતની કલમ હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ). આ ઉપરાંત પોલીસનો સંપર્ક કરવો પણ હિતાવહ છે.]








