નવજીવન ન્યૂઝ. સુરતઃ અમદાવાદમાં એક દિવસ અગાઉ લિફ્ટ તૂટવાની ઘટના બની હતી. જેમાં સાત શ્રમીકોનો મોત નિપજ્યા હતા. ત્યારે આજે સુરતમાં લિફ્ટનું કામ કરતી વખતે દુર્ઘટના બની છે. સુરતમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે. લિફ્ટનું રિપેરીંગ કામ કરતી વખતે બે મજૂરોના મોત નિપજ્યા છે. જોકે આ બનાવ સેફ્ટીના સાઘનોના અભાવના કારણે બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતમાં પાંડેસરામાં વડોદ ગામ નજીક પ્લેટિનિયમ કોમ્પ્લેક્સમાં આજથી લિફ્ટનું કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. લિફ્ટના કામ માટે 2 શ્રમિકો 14માં માળે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન એક શ્રમીકનું બેલેન્સ જતા નીચે પડકાયો હતો. જોકે અન્ય શ્રમિક બચાવવા જતાં તે પણ નીચે પટકાયો હતો. બંને શ્રમિકોના લિફ્ટ પેસેજમાં ઉંચાઈથી પટકાવવાના કારણે મોત નીપજ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે. શ્રમિકો દ્વારા સ્ટૂલ પર ઉભા રહીને કામ કરવામાં આવી રહ્યું હતું. જ્યારે અન્ય શ્રમિક દ્વારા સ્ટૂલને પકડીને રાખવામાં આવ્યું હતું. જોકે સ્ટૂલ પર ઉભેલા શ્રમિકનું બેલેન્સ જતાં તેને બચાવવા જવામાં બે શ્રમિકોના મોત નિપજ્યા છે. ઉપરાંત શ્રમિકો દ્વારા કોઈ પણ પ્રકારનો સેફ્ટી બેલ્ટ પણ બાંધવામાં આવ્યો ન હતો. મૃતકમાં આકાશ સુનીલ બોરસે અને નીલેશ પ્રહલાદ પાટીલનો સમાવેશ થાય છે. હાલ પાંડેસરા પોલીસની ટીમ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યી કાર્યવાહી હાથ ધરી છે.








