નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વર્ષોથી ગુજરાતમાં સત્તા ઉપર રહેલી ભાજપ માટે આમ આદમી પાર્ટી સિવાય વડગામના અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય અને હાલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી પણ મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. તેવામાં થોડા મહિનાઓ અગાઉ જ મહેસાણા કોર્ટ દ્વારા જીગ્નેશ મેવાણી અને તેમના સાથીઓને ત્રણ મહિના જેલ અને દંડની સજા ફટકારાઇ હતી, ત્યારે આજે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા છ મહિનાની જેલ અને દંડની સજા ફટકારી છે.
પ્રાથમિક જાણકારી મુજબ, MLA જીગ્નેશ મેવાણી, સુબોધ પરમાર અને રાકેશ મહેરીયા સહિત 19 આરોપીઓને અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ નં. 21 દ્વારા વર્ષ 2016ના યુનિવર્સિટી ખાતે બની રહેલા કાયદા ભવનને ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ આપવા કરવામાં આવેલા વિજય ચાર રસ્તા રોકવાના ગુનામાં 6 માસ ઉપરાંત દંડની સજા કરવામાં આવી. આ કેસમાં કૂલ 20 આરોપીઓ હતા જેમાં એક આરોપીનું મૃત્યુ થઈ ગયું હોવાના કારણે 19 આરોપીઓને આ સજા કરવામાં આવી છે.
અગાઉ પણ મહેસાણા સેશન્સ કોર્ટ દ્વારા જીગ્નેશ મેવાણીને ત્રણ મહિનાની સજા કરવામાં આવી હતી જોકે તે સજા ઉપર અપીલ કર્યા બાદ તારીખ 17 ઓકટોબર 2022 સુધી સ્ટે મૂકવામાં આવ્યો હતો અને તમામ આરોપીઓને જમીન પર છોડવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જીગ્નેશ મેવાણી ઉપર આસામમાં પણ બે કેસ નોંધાયા હતા અને આસામ પોલીસ દ્વારા તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ આસામ કોર્ટ દ્વારા તેમણે છોડવાનો હુકમ કરવામાં આવ્યો હતો.








