નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક આવેલા એસ્પાયર-2 નામની બિલ્ડીંગમાંથી 13મા માળેથી લીફ્ટ નીચે પટકાતા 7 વ્યક્તિના મોત થયા અને 1 વ્યક્તિની હાલત ગંભીર છે ત્યારે આ ઘટનામાં જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન બન્યો છે. લીફ્ટ પટકાતા જ જ્યારે અહીંના હોદ્દેદારો પલાયન થઈ ગયા ત્યાં ફાયર બ્રિગેડને પણ કલાકો પછી ઘટનાની જાણ થઈ હતી. આ મામલે એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય રાકેશ શાહે જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી થશે તેવું આશ્વાસન આપ્યું હતું.
અમદાવાદમાં બનેલી આ ઘટનાને પગલે ભારે દોડાદોડ થઈ ગઈ છે. એક સાથે સાત વ્યક્તિના મોત તંત્ર સહિત સહુ માટે આઘાત જનક સમાચાર બન્યા હતા. બીજી તરફ આ બિલ્ડીંગના બિલ્ડર પણ છૂમંતર થઈ ગયા છે. અહીં જવાબ આપનારું જાણે કોઈ નથી તેવી સ્થિતિ બની ગઈ છે ત્યારે મૃતકોને ન્યાય મળવાની પણ માગ ઉઠી છે. આ સંદર્ભમાં અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય રાકેશ શાહે કહ્યું હતું કે, આ ઘટનામાં જે પણ કોઈ જવાબદાર છે, તે તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે માટે અમે તંત્રને આદેશ આપીશું. ઉપરાંત તેમણે કહ્યું કે મૃતકોના પરિવારને કોઈ આર્થિક સહાય મળી શકે તે બાબતે રજૂઆત કરાશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે અહીં બાંધકામ દરમિયાન મજુરોની સુરક્ષાને સાવ ધ્યાને લેવાઈ ન હતી. તેમણે કહ્યું કે આ ગુનાહીત કાર્ય કહી શકાય, આમાં જે પણ શામેલ છે તેમને છોડવામાં આવશે નહીં. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં સંજયભાઈ બાબુભાઇ નાયક, જગદીશભાઈ રમેશભાઈ નાયક, અશ્વિનભાઈ સોમાભાઈ નાયક, મુકેશ ભરતભાઈ નાયક, મુકેશભાઇ ભરતભાઇ નાયક, રાજમલ સુરેશભાઇ ખરાડી, પંકજભાઇ શંકરભાઇ ખરાડીનું મોત નિપજ્યું છે.








