નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજકોટમાં મિત્રના હાથે જ મિત્રનો જીવ લેવાયો હોવાની ધટના સામે આવી છે. રોજ સાથે મજતા હરતા-ફરતા મિત્રો વચ્ચે બોલાચાલી થતા એક મિત્રએ અન્ય મિત્રને પતાવી દીધો હતો. બંને મિત્રો રૂમ પાર્ટનર હોવાનું સામે આવ્યું છે. બંને મિત્રો પરપ્રાંતિ હતા, જેઓ રાજકોટના એક કારખાનામાં કામ કરતા હતા. બોથડ પદાર્થ વડે મિત્રના માથામાં ઘા ઝીંકીને પતાવી દીધો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટમાં કોઠારીયા મેઈન રોડ પર સ્વાતિપાર્ક નજીક આવેલી ગીતા ઈન્ડસ્ટ્રીઝ ઓરડી પાસે એક પરપ્રાંતી યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા સ્થાનીકો દ્વારા 108ને જાણકારી આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતાં આજી ડેમ પોલીસ સ્ટેશનનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકના મોઢાના ભાગે બોથડ પદાર્થના ધા મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતકનું નામ સુરેશ રાજેન્દ્રભાઈ ભુઈ છે. જેની ઉંમર 21 વર્ષ છે અને મૂળ ઓરિસ્સાનો વતની છે. સુરેશ મજુરી કામમ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. સુરેશ સાથે તેની ઓરડીમાં રહેતા પ્રશાંત વચ્ચે કોઈક કારણોસર બોલાચાલી થઈ હતી. જેના કારણે પ્રશાંતે સુરેશને પથ્થરના ઘા મારીને પતાવી દીધો હતો. હત્યા કર્યા બાદ ધાબા પર સૂઈ રહેલા અન્ય મિત્રો પાસે જઈને હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જોકે મિત્રોએ શા માટે હત્યા કરી હોવાનું પુછતા તેણે જણાવ્યું હતું કે, સુરેશે તેને ગાળ આપી હોવાના કારણે તેની હત્યા કરી દીધી હતી. પ્રશાંત મિત્રો પાસે પોલીસથી બચાવવા આજીજી કરતો હતો.








