નવજીવન ન્યૂઝ. સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આપ પાર્ટી જનસંપર્ક વઘુ મજબુત કરવા માટે અનેક કાર્યક્રમ કરી રહ્યું છે. ગુજરાતમાં આપ વધુ મજબુત થતાં હવે પાર્ટીના નેતાઓ પર હુમલો થવાની ધટનાઓ પણ સામે આવી રહી છે. સુરતમાં આપ અને ભાજપ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘર્ષણ થયાના બનાવ સામે આવ્યા છે. ત્યારે ગઈકાલે આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીપા પર હુમલો કરીને લોહી લુહાલ કરી દેવામાં આવ્યા છે.
સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ગણેશત્સોવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને જોવા માટે આપના મહામંત્રી મનોજ સોરઠીયા પહોંચ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો દ્વારા પંડાલ પાસે પડેલા બામ્બુ વડે મનોજ સોરઠીયા પર તુટી પડ્યા હતા. આ બનાવમાં મનોજ સોરઠીયાને માથાના ભાગમાં ઈજાઓ થતાં લોહી લુહાણ થઈ ગયા હતા.
સમગ્ર બનાવ અંગે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, વિપક્ષના લોકો પર આ રીતે હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં હાર અને જીત થતી રહે છે, પરંતુ હિંસાથી વિપક્ષને કચડી નાખવું એ ગુજરાતની સંસ્કૃતિની વિરુદ્ધ છે અને જનતાને તે ગમતું નથી. હું ગુજરાતના સીએમને અપીલ કરું છું કે ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવે અને દરેકની સુરક્ષા કરે.








