નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરાના હાલોલ બાયપાસ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કારમાં સવાર પરિવાર પાવાગઢ દર્શન કરવા માટે જઈ રહેલા પરિવારને રસ્તામાં જ અક્સમાતનો સામનો કરવો પડ્યો હતો. આ અક્સમાતમાં એક બાળક સહિત ત્રણના મોત થયા છે. જ્યારે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અક્સમાત એટલો ગંભીર હતો કે કારનું ટાયર નીકળી ગયું હતું જ્યારે કારના દરવાજા પર લોહીના દાગ પડી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ અંકલેશ્વર ખાતે પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલા જગદીશભાઈ પ્રજાપતિ આજે વહેલી સવારે પરિવાર સાથે પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે ભાડે ઈકો કાર કરાવીને અંકલેશ્વરથી નીકળ્યા હતા. આ દરમિયાન હાલોલ બાયપાસ પાસે સવારે 6 વાગે ઈકો કારનો અક્સમાત થયો હતો. ઈકો કાર જ્યારે હાલોલ વડોદરા હાઈવે પરથી પસાર કરીને પાવાગઢ તરફ વળી હતી. ત્યારે એક કાળા કલરની લક્ઝરી બસની ઓવરટેક કરવા જતા બસની ટક્કર ઈકો કારને વાગી હતી.
બસની ટક્કર વાગતા ઈકો કાર રોડની સાઈડના ડિવાઈડરમાં જઈને અથડાઈ હતી. આ અક્સમાતમાં તેજસ કામલકિશોર પ્રજાપતિ, કૈલાસીબેન જગદીશભાઈ પ્રજાપતિ, જગદીશભાઈ વસાવાનું મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અંશ કામલકિશોર પ્રજાપતિ, હેમલતાબેન કામલકિશોર પ્રજાપતિને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા, ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ઈકો કાર ચાલકનું નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.








