હઠીસિંહ ચૌહાણ (નવજીવન ન્યૂઝ. ભાવનગર): ભાવનગર જિલ્લાના ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયા સામે કારડીયા રાજપૂત સમાજે મોરચો માંડ્યા પછી હવે ભાવનગર જિલ્લાના ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ ગીતાબેન કોતરે(આહિર) પણ મોરચો ખોલ્યો છે. મુકેશ લંગાલિયાના વાયરલ થયેલા ચરિત્ર સંબંધી પત્રને લઈ મુકેશ લંગાળિયાએ આપેલા માનસિક ત્રાસને કારણે ગીતાબેને હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું. આ મામલે તેમણે સી. આર. પાટિલ, ભારતીબેન શિયાળ અને મહેન્દ્રસિંહ સરવૈયા સામે રજૂઆત કરવા છતાં પણ પરિણામ આવ્યું ન હતું, પરંતુ કારડીયા રાજપૂત સમાજે મુકેશ લંગાળિયા સામે મોરચો ખોલ્યા પછી ગીતાબેન કોતર પણ મેદાનમાં ઉતાર્યા છે. ગીતાબેન આહિર સમાજના આગેવાન હોવાને કારણે હવે મુકેશ લંગાળિયા સામે કારડીયા રાજપૂત સમાજની સાથે આહિર સમાજ પણ જોડાયો છે.
વર્ષો સુધી કોંગ્રેસમાં રહેલા ગીતાબેન કોતરે ભાજપમાં પ્રવેશ કર્યો પછી તેમણે ભાવનગર જિલ્લાના મહિલા મોરચામાં સ્થાન આપવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાની મહિલાઓને ભાજપમાં જોડવાનું કામ ગીતાબેન કોતર કરી રહ્યા હતા દરમિયાન ભાવનગરના સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ થયો હતો. જેમાં મુકેશ લંગાળિયાના સ્ત્રીઓ સાથેના સંબંધ અને ચરિત્ર ઉપરના આરોપ હતા. આ પત્ર ગીતાબેન કોતરે લખ્યો છે તેવો આરોપ મૂકી મુકેશ લંગાળિયાએ તેમણે ખૂબ જ માનસિક ત્રાસ આપ્યો હતો, તેવું ગીતાબેન કોતરનું કહેવું છે. મુકેશ લંગાળિયાના માનસિક ત્રાસની રજૂઆત કરવા તેઓ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલને પણ મળ્યા હતા, ત્યારે પાટિલે તેમને પગલાં લેવાનું અસવાસન આપ્યું હતું. સ્થાનિક કક્ષાએ પણ ગીતાબેને રજૂઆત કરી છતાં પરિણામ નહીં આવતા તેમણે હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું. સમગ્ર મામલે દુખી થયેલા ગીતાબેન કોતરે હવે કોઈ મદદ મળશે નહીં તેવું મન બનાવી લીધું હતું, પરંતુ કારડીયા રાજપૂત સમાજ સામે મુકેશ લંગાળિયાએ કરેલા ઉચ્ચારણો પછી જે રીતે કારડીયા રાજપૂત સમાજ બહાર આવ્યો તે જોઈ તેમની હિંમત ખૂલી હતી.
ગીતાબેન કોતરે સોશિયલ મીડિયા મારફતે લડાઈનું રણશિંગુ ફૂંકી ન્યાય નહીં મળે તો સચિવાયલમાં આત્મવિલોપન કરીશ તેવી ચીમકી ઉચ્ચારતા આહિર સમાજ સ્તબ્ધ થઈ ગયો હતો. સમગ્ર ઘટનાક્રમથી અજાણ આહિર સમાજના આગેવાનોએ ગીતાબેનનો સંપર્ક કરીને વિશ્વાસ અપાવ્યો કે ગુજરાતનો આહિર અને રાજપૂત સમાજ તેમની સાથે છે. આહિર સમાજની બહેનોએ સોશિયલ મીડિયા ઉપર પોતાના વીડિયો બનાવી ગીતાબેનનું સમર્થન કર્યું છે, પરંતુ ગીતાબેને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસ અધિકારીઓએ તેમના ઘરે દોડી આવ્યા હતા અને તેમનું નિવેદન નોંધ્યું હતું કે, તેઓ આત્મવિલોપન કરશે નહીં.
રવિવારે બપોરે આહિર અને રાજપૂત સમાજના યુવાનો ભાવનગરમાં મોટી સંખ્યામાં એકત્રિત થઈ રહ્યા છે. જેમને મુકેશ લંગાળિયાના રાજીનામથી ઓછું કઈ ખપતું નથી. સોમવારના રોજ ગીતાબેન કોતર પ્રેસ કોન્ફરન્સ દ્વારા મુકેશ લંગાળિયા અંગે મોટો ઘટસ્ફોટ કરે તેવી જાણકારી મળી રહી છે.








