નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પડેલા વરસાદના કારણે નર્મદા અને ધરોઈ ડેમમાં પાણીની સપાટીમાં વધારો જોવા મળ્યો છે. તાજેતરમાં જ બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે સાબારમતી નદી પરના ધરોઈ ડેમમાંથી 70 હજાર ક્યુસેકથી વધુ પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતું. જેના કારણે સાબરમતી નદી ચિક્કાર ભરાઈ ગઈ હતી.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક વધી જતા 70 હજાર ક્યુસેકથી વધુ પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતું. જેથી સાબરબતી નદી બે કાંઠે વહેતી થઈ હતી. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગઈકાલ રાત્રે સાબરમતી રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડમાં પાણી ફરી વળ્યા હતા. વોકવે પર પાણી ફરી વળતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ હતું. ઉપરાંત ફાયર વિભાગને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યું હતું.

ધરોઈ ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવતા ગઈકાલ સવારે 9:30 વાગ્યાથી વોકવે મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યાં સુધી છોડવામાં આવેલુ પાણી વહી ન જાય ત્યાં સુધી વોકવે પર જવા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાબરમતી નદીમાં જળ સપાટી જળવાઈ રહે તે માટે વાસણા બેરેજના 19 દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. હાલ રિવરફ્રન્ટ વોકવેની કેટલીક જગ્યાએ પાણી ઓસર્યા છે.








