પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આમ તો અમદાવાદ પોલીસ કમિશનર તાબામાં શહેરની પંદર હજાર પોલીસનો જંગી કાફલો છે. શહેરમાં બનતી નાની મોટી તમામ ગુનાહીત ઘટનાઓને અટકાવવા અને ગુનો બન્યા પછી ગુનેગારોને ઝડપી લેવા માટે પચાસ કરતા વધુ પોલીસ સ્ટેશનો સહિત ક્રાઈમ બ્રાન્ચ અને પ્રીવેન્શન ક્રાઈમ બ્રાન્ચ જેવી ખાસ શાખાઓ પણ કાર્યરત છે. અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રજા ઉપર જતા તેમનો હવાલો જોઈન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરીને આપવામાં આવ્યો છે. આમ હવે શહેરની સુરક્ષાની જવાબદારી અજય ચૌધરીની છે, તેઓ કાર્યકારી પોલીસ કમિશનર હોવા છતાં સમગ્ર અમદાવાદ પોલીસ અને શહેરની તમામ બ્રાન્ચીસ તેમના હસ્તક છે. પરંતુ લાગે છે તેમને વર્તમાન વ્યવસ્થા ઉપર ભરોસો નથી. જેના કારણે તેમણે દારૂ-જુગારને ડામવા એક ગુપ્ત સ્કવોર્ડ બનાવી છે.
અજય ચૌધરીએ તા 10મી ઓગષ્ટના રોજ એક ખાસ આદેશ બહાર પાડી ગુપ્ત સ્કવોર્ડનો આદેશ આપ્યો હતો. આ આદેશ પ્રમાણે શહેરમાં કાર્યકારી પોલીસ કમિશનર તરીકે તેમના કાર્યકાળ દરમિયાન દારૂ જુગારને ધ્યાનમાં લઈ ગુપ્ત સ્કવોર્ડ તૈયાર કરવામાં આવી છે. જેમાં સરદારનગર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એ આર પાંન્ડે, સરખેજના એએસઆઈ અજીતસિંહ માનસિંહ, ઈ ડિવિઝન ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ પૃથ્વીસિંહ, શાહપુરના અજીતસિંહ ફુલસિંહ, દરિયાપુરના સંજય નારસંગ, વેજલપુરના કોન્સ્ટેબલ કિરીટસિંહ દિપસિંહ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના અરવિંદસિંહ રણધીરસિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે
હાલમાં અજય ચૌધરી ઇન્ચાર્જ પોલીસ કમિશનર હોય તો પણ પ્રીવેન્શન ક્રાઈમ બ્રાન્ચ અને ક્રાઈમ બ્રાન્ચ તેમના સીધા તાબામાં આવે છે, જો તેમને શહેરમાં દારૂ જુગારની કોઈ માહિતી મળે તો તેઓ સ્થાનિક પોલીસ સહિત આ ખાસ બે બ્રાન્ચને આદેશ આપી દરોડા પાડી શકે છે. આમ છતાં સંજય શ્રીવાસ્તવ રજા ઉપરથી પરત ફરે ત્યાં સુધી અજય ચૌધરી પોતાના ગુપ્ત સ્કવોર્ડ દ્વારા હવે દારૂ જુગાર ઉપર નજર રાખશે. આ ઉપરાંત હાલમાં અજય ચૌધરીએ બદલીઓનો દૌર પણ શરૂ કર્યો છે.








