દિલીપ ચાવડા (નવજીવન ન્યૂજ. સુરત): જો મનમાં સમાજ સેવા કરવાનો નિર્ધાર હોય તો કોઈ પણ પ્રકારે અને ગમે ત્યાં સેવાકીય પ્રવૃતિ થઈ શકે છે. આ બાબતને હોમગાર્ડ જવાન મહેશભાઇ ગંગારામભાઈ લાડ બકલ નંબર-૩૮૭એ સાબિત કરી બતાવી છે. સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂર્ણ કરતા દેશના સમગ્ર નાગરિકો આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરવા સાથે પોલીસ વિભાગમાં સરાહનિય કામગીરી કરનારા ઉચ્ચ અધિકારીઓને એવોર્ડથી સન્માનીત કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના થતી સમાજ સેવાની કામગીરીની આજદિન સુધી કોઈપણ સરકારી વિભાગ કે ખાનગી સંસ્થાઓએ નોંધ નથી લીધી.
“આઝાદીના અમૃત મહોત્સવ” પર વાત એવા બહાદુર, નીડર સમાજ સેવક હોમગાર્ડ જવાનની કે જેમણે પોલીસમાં ભરતી થઈને દેશની સાથે સમાજની સેવા કરવાનું સ્વપ્ન જોયું પણ તે સાચું ન થયું, છતાં તેમણે હાર ન માની. ભલેને અંગત કારણોસર તેમને પોલીસ વિભાગમાં જવાની તક ન મળી પણ તેમણે ગુજરાત હોમગાર્ડની માનદ સેવા સાથે જોડાવવાનો નિર્ણય કર્યો અને વર્ષ 2014માં સુરત ગ્રામ્યના ઓલપાડ તાલુકાના સાયણ યુનિટમાં ભરતી થયા. સમાજ સેવાને પોતાનો પ્રથમ ધર્મ માનતા મહેશભાઇ લાડને લોક ઉપયોગી કોઈપણ કામ કરવામાં ખચકાટ કે શરમ નથી. હોમગાર્ડમાં ભરતી થતાં તેઓ સાયણ આઉટ પોસ્ટ પોલીસ ચોકી પર નક્કી થયેલા કલાકો નોકરી કર્યાબાદના સમયમાં પણ આઉટ પોસ્ટ પોલીસ ચોકીની કામગીરીઓમાં મદદરૂપ થતા હતા.
હોમગાર્ડ જવાન તરીકેની ફરજ દરમિયાન પોતાના અનુભવોની નવજીવન ન્યૂઝના પ્રતિનિધિને માહિતી આપતાં કહ્યું કે વર્ષ ૨૦૧૪માં હોમગાર્ડ જવાન તરીકે ભરતી થયાબાદ મહેશભાઈ કામ અર્થે સાયણ પોલીસ ચોકીમાં બેઠા હતા ત્યારે એક અજાણ્યા પુરૂષની લાશ નહેરમાં તણાઈને આવી હોવાની પોલીસને માહિતી મળી. નહેરમાંથી મૃતદેહ બહાર કાઢવા માટે પોલીસ માણસો શોધતી હોવાનું તેમને ખબર પડી, ત્યારે તેમણે હિમ્મત પૂર્વક નહેરમાંથી લાશ બહાર લઈ આવવાની કામગીરી કરી. તે દિવસથી તેઓ બિનવારસી લાશ કે અકસ્માત મોત થયેલા લોકોના મૃતદેહ ઉઠાવી પોસ્ટમોર્ટ માટે આરોગ્ય કેન્દ્ર સુધી લઈ જવાનું કામ કરતાં આવ્યા છે. વર્ષ ૨૦૧૪થી આજદિન સુધીમાં તેમણે અંદાજિત ૩૦૦થી વધુ લાશો ઉપાડી છે. આટલુ જ નહીં પણ નોંધનીય કામગીરીએ પણ કે આવી લાશ જ્યારે પોસ્ટમોર્ટમ માટે આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાય ત્યારે સ્વીપરની સગવડ ન હોવાથી સ્વીપર તરીકે હાજર રહીને અનેક લાશના પોસ્ટ મોર્ટમમાં સહાય પણ કરી છે.
આ તમામ કામગીરી તેમની સમાજ સેવા જ છે. આટલુ જ નહીં પણ વૈશ્વિક કોરોના મહામારીની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો ચપેટમાં આવતા મૃતકોના આંકમાં નોંધપાત્ર વધારો થયો. આ સમયે કોવિડ સેન્ટરમાં અથવા પોતાના ઘરે સારવાર લઈ રહેલા અને કોરોનામાં મૃત્યુ થયેલાને ગામડામાંથી અંતિમ ક્રિયા માટે લઈ જવામાં સ્વજનોને મુશ્કેલી થવા સાથે મૃતદેહો હટવાતા હોવાનું તેમના ધ્યાને આવતા તેમણે મિત્રો સાથે મળી એક ખાનગી હોસ્પિટલની સબવાહીનીથી રાત દિવસ સેવામાં હાજર રહી 100 થી વધુ કોરોના મૃતકોને અંતિમ સંસ્કાર માટે લઇ જવાની પણ સરાહનીય કામગીરી કરી છે. સાયણ રેલ્વે સ્ટેશન કે ટ્રેનમાં કપાઈને મરણ જતી અજાણી વ્યક્તિઓની લાશ સાથે દિવસો સુધી પડી રહેલી અને અંત્યત ખરાબ હાલતમાં થઈ ગયેલી લાશ પાસે જવાની વાત દૂર રહી પણ માથું ફાડી નાખે તેવી દૂર્ગંધ વાળા મૃતદેહો પણ તેમણે એકલા હાથે ઉઠાવ્યા છે અને આજે પણ તે આપ્રકારની સેવાકીય પ્રવૃતિ કરતાં આવ્યા છે.








