નવજીવન ન્યૂઝ. જાલોરઃ રાજસ્થાનના જાલોર જિલ્લામાં શિક્ષકના મારમારવાના કારણે એક દલિત વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. આ ઘટના જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના સુરાણા ગામની એક ખાનગી શાળાની છે, જ્યાં એક દલિત વિદ્યાર્થીને શિક્ષક દ્વારા નિર્દયતાથી મારવામાં આવ્યો હતો, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
દલિત વિદ્યાર્થીએ ખાનગી શાળાના સંચાલકના વાસણમાંથી પાણી પીધું હતું. આ બાબતે તેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. મારના કારણે વિદ્યાર્થીને આંતરિક ઈજાઓ થઈ હતી. આવી સ્થિતિમાં તેમના પરિવારે તેમને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, ત્યાર પછી તેમને અમદાવાદ લઈ ગયા, જ્યાં તેમનું મૃત્યુ થયું. વિદ્યાર્થીની ઓળખ ઈન્દ્ર કુમાર તરીકે થઈ છે, જે સુરાના ગામમાં સરસ્વતી વિદ્યા મંદિરમાં ત્રીજા ધોરણમાં ભણતો હતો. આ અંગે મૃતક વિદ્યાર્થીના કાકા કિશોર કુમારે સાયલા પોલીસ મથકમાં શાળાના સંચાલક છૈલસિંહ સામે મારપીટ, જાતિય શબ્દોનો ઉપયોગ, અપમાનિત કરવા અને વિદ્યાર્થીને માર મારવાનો ગુનો નોંધાવ્યો છે.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે 20 જુલાઈના રોજ ઈન્દ્ર હંમેશની જેમ શાળાએ ગયો હતો, જ્યાં તેને તરસ લાગી ત્યારે તેણે સ્કૂલમાં રાખેલા પાણીના વાસણમાંથી પાણી પીધું હતું. પરંતુ તે માટલુ શિક્ષક છૈલ સિંહ માટે અલગ રાખવામાં આવ્યું હતું. જેમાંથી બાળકે પાણી પીધાની માહિતી મળતા સંચાલકે બાળકને જાતિવાદી શબ્દોથી અપમાનિત કરી માર માર્યો હતો, જેના કારણે તેના જમણા કાન અને આંખમાં આંતરીક ઈજાઓ થઈ હતી. વિદ્યાર્થીએ તેના પિતાને આ ઘટના વિશે જાણ કરી હતી, ત્યારબાદ તેની સતત અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી, પરંતુ 13 ઓગસ્ટે ઈન્દ્રનું સારવાર દરમિયાન મોત થઈ ગયું.
હાલ પોલીસે સમગ્ર મામલે SC-ST એક્ટ સહિત હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ સાથે જ પોલીસે ખાનગી શાળાના સંચાલકને પણ ધરપકડ કરી છે. અહીં આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ વધી ગયો છે, જેના કારણે સરકારની સૂચના મુજબ આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા આગામી સૂચના સુધી બંધ કરી દેવામાં આવી છે. આ મામલાની તપાસ માટે મુખ્ય બ્લોક એજ્યુકેશન ઓફિસર દ્વારા એક તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે. તેમના દ્વારા જારી કરાયેલી નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે સરસ્વતી વિદ્યા મંદિરમાં શિક્ષક દ્વારા બાળકને માર મારવાનો મામલો સામે આવ્યો હતો, જે બાદ તથ્યપૂર્ણ રિપોર્ટ મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. તપાસ પંચાયત પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોકકુમાર દવે અને પ્રતાપ રામને સોંપવામાં આવી છે. શિક્ષણ વિભાગ પાસેથી હકીકતલક્ષી રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે.
છોકરાના પિતાએ કહ્યું, “મારા બાળકને ઘડામાંથી પાણી પીવા માટે તેના (શિક્ષક) દ્વારા માર મારવામાં આવ્યો હતો અને જાતિવાદી અપશબ્દો કહેવામાં આવ્યા હતા. માર મારવાને કારણે છોકરાને બ્રેઈન હેમરેજ થયું હતું. હું તેને સારવાર માટે ઉદયપુર લઈ ગયો હતો અને પછી અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો.








