નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ છેલ્લે ગુજરાત કોંગ્રેસના વિધાનસભા નેતા તરીકે પદભાર સંભાળી ચુકેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના એક નિવેદન પછી તેઓ કોંગ્રેસમાં જોડાવાની ઈચ્છા રાખતા હોવાનું સામે આવ્યું છે. તે ઉપરાંત તેઓ કોંગ્રેસમાં ભળી જાય તો તેના માટે તેમની શું ઈચ્છા છે તે પણ તેમણે જણાવ્યું છે. કોંગ્રેસ સાથે તેમના આગામી કનેક્શનની વાતો ત્યારે તેજ થઈ છે જ્યારે તેમણે કહ્યું કે જો કોંગ્રેસ ગુજરાતમાંથી દારુબંધી હટાવી દેવાની ખાતરી આપે તો તેઓ કોંગ્રેસમાં જોડાવા તૈયાર છે.
શંકરસિંહ વાઘેલા ગુજરાતમાંથી દારુબંધીને જ હટાવી ગુજરાતમાં દારુને કાયદેસર કરી દેવા અંગે અગાઉ પણ ઘણી વખત નિવેદનો આપી ચુક્યા છે. તેમણે જોકે ફરી જ્યારે આ લઠ્ઠાકાંડ બહાર આવ્યો ત્યારે પણ આ જ સૂરમાં વાત કરી છે. તેમણે હવે કહ્યું છે કે, દારુબંધી હોવા છતા ગુજરાતમાં પોલીસથી માંડી ઉપરથી નીચે સુધી હપ્તા પહોંચતા હોવાથી દારુબંધીનો યોગ્ય અમલ થતો જ નથી અને તેના કારણે લોોને મોંઘો દારુ પણ ગુણવત્તા હલકી તેવો દારુ પીવો પડે છે. ખરેખર દારુબંધી દુર કરવામાં આવે તો ગુજરાતને હજારો કરોડની આવક થાય અને તે રકમથી ગુજરાતનો વિકાસ કરી શકાય છે.
તેમનું કહેવું છે કે, દારુબંધી એક નાટક છે અને હું આ નાટકનો વિરોધી છું. કોંગ્રેસના ધારાસભ્યો નક્કી કરી દે કે ગુજરાતમાંથી અમે દારુબંધી હટાવીશું અને મને હાઈકમાન્ડ એવું જણાવે કે ધારાસભ્યો નક્કી કરે તો વાંધો નથી તો હું તમામ સભ્યોને એકત્ર કરી ગુજરાતમાંથી દારુ મુક્તિ કરવા મામલે ચર્ચા કરીશ. તેમણે એવું પણ કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા તે ફરી પોતાનું સંગઠન સક્રિય કરવાના છે.








