નવજીવન ન્યૂઝ.ઉના: ગુજરાતમાં સાર્વત્રિકના કારણે રોડ-રસ્તાઓની હાલત કફોડી બની ગઈ છે. રાજ્યના કેટલાક નેશનલ હાઇવેથી હાઇવે બિસ્માર રસ્તાના કારણે વહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ગીરસોમનાથના ઉનામાંથી પસાર થતાં હાઇવેમાં ખાડાઓ પડી જવાના કારણે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. વાહન ચાલકોને ખાડાઓથી બચવા સર્પાકારે વાહન ચલાવવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
ઉના શહેરના સિલોજ બાયપાસથી વ્યાજપુર બાયપાસ સુધીના વિસ્તારમાં આવેલ વેરાવળ રોડ રેલવે ફાટક ટાવર ચોક શાક માર્કેટ જાહેર બાગ ત્રિકોણ બાગ બસ સ્ટેશન વડલા ચોક સહિતના મુખ્ય રસ્તા પર માર્ગમાં મોટા ખાડાઓ પડી ગયા છે. તમામ નાના-મોટા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા વિકાસ દર્શાવવા માટેની યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ વિનાશક દ્રશ્યો જોવા મળે છે. ત્યારે વિકાસની ગુલબાંગો ફેંકવાનું બંધ કરીને જનતા માટે સુવિધા ઊભી કરવાની લોકોની માગ ઊભી થઈ છે.
આ સમસ્યાની રજૂઆત ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશે નેશનલ હાઇવે ઓથોરિટી તથા સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં ખાડાઓ બુરવા સિવાય કોઈ પરિણામ આવ્યું નથી. જ્યારે આ સમસ્યાને લઈને ભાજપના આગેવાનો રજૂઆત કરતા શરમ અનુભવે છે. ત્યારે કોંગ્રેસની રજૂઆત સરકારી બાબુઓ ધ્યાને લેતા નથી. ઉના શહેરના મુખ્ય માર્ગો પરના મસ્ત મોટા ખાડાઓથી લોકો તેમજ વાહન ચાલકોના હાડકા ખોખરા કરી રહ્યા છે. આ ખાડામાં ચોમાસાના વરસાદના કારણે પાણી ભરાતા ખાડા કેટલા ઊંડા તેમજ મોટા છે તે સમજવું મુશ્કેલ છે. વાહનચાલકો માટે સમસ્યા બનતા અવારનવાર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ટુ-વ્હીલર ચાલકો પણ અવારનવાર ગબડી પડે છે. આમ લોકોની વ્યાજબી માંગો પણ તંત્ર સમજતું નથી. જેથી લોકો વિકાસ ગાંડો થયો છે ના સ્લોગન બોલીને સરકાર અને તંત્રની હાસી ઉડાવી રહી છે. ભાજપના આગેવાનો શરમ મૂકીને લોકો માટે અવાજ ઉઠાવે અને તંત્ર પાસે તાત્કાલિક કામ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
આભારસહ ધર્મેશ જેઠવા ઉના








