નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: વરસાદને કારણે, બુંદેલખંડ એક્સપ્રેસવે પર તેના ઉદ્ઘાટનના 5 દિવસમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે. અબજો રૂપિયા પાણીની જેમ વહાવીને બનાવવામાં આવેલ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જુલાઈના રોજ જાલૌન જિલ્લાના કેથેરી ખાતે કર્યું હતું. આ જ બુંદેલખંડ એક્સપ્રેસ વેની વાસ્તવિકતા થોડા દિવસોમાં જ સામે આવી ગઈ. ગઈકાલે સાંજના વરસાદની વચ્ચે બુંદેલખંડ એક્સપ્રેસ વે પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે, જેના કારણે અનેક મોટી દુર્ઘટના થતી રહી ગઈ છે.
જણાવી દઈએ કે બુંદેલખંડને નવી ઓળખ આપવા માટે બુંદેલખંડ એક્સપ્રેસ વે બનાવવામાં આવ્યો છે. આ બુંદેલખંડ એક્સપ્રેસ ચિત્રકૂટના ભરતકુપથી શરૂ થાય છે અને ઇટાવાના કુદરેલ ખાતે મળે છે. 16 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું પ્રચાર સાથે ઉદ્ઘાટન કર્યું હતું. બુંદેલખંડ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન બાદ તેના પર વાહનો દોડવા લાગ્યા. ત્યારે હવે એક્સપ્રેસ વેની ગુણવત્તા સામે આવી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે બુંદેલખંડ એક્સપ્રેસ વે પર છિરિયા સલેમપુર પાસે રોડ તૂટી પડ્યો હતો, જેના કારણે ગઈકાલે રાત્રે બે કાર અને એક બાઇક અથડાયા હતા. મુસાફરોએ તેનો વિડીયો પણ બનાવ્યો અને વાયરલ પણ કર્યો હતો. આ સિવાય ઔરૈયા જિલ્લાના અજીતમલ પાસે પણ એક્સપ્રેસ વે તૂટી પડ્યો છે. ઉદઘાટનના માત્ર 5 દિવસ બાદ જ એક્સપ્રેસ વે તુટી જવાના કારણે ગુણવત્તા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમજ વહીવટી કર્મચારીઓમાં પણ હલચલ મચી જવા પામી છે.








