નવજીવન ન્યૂઝ. ઉના: દરિયો ખેડતી વખતે પાકિસ્તાનની સીમામાં પહોંચી જતાં ભારતના 650થી વધુ માછીમારો હાલ પાકિસ્તાનની જેમમાં સજા ભોગવી રહ્યા છે. જે પૈકી ગીર સોમનાથના માછીમારનું મોત થતાં તેમના પરિવારજનોને 12 દિવસ પછી ચિઠ્ઠીથી જાણ થતાં પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ઉના તાલુકાના દાંડી ગામના માછીમારે પાકિસ્તાનની લાડી જેલમાં દમ તોડ્યો છે. પાકિસ્તાનની જેલમાં ૧૨ દિવસ પૂર્વે માછીમારનું મોત થયું છતાં પાક દ્વારા પરિવારને જાણ કરવામાં આવી ન હતી. મૃત પછી માછીમારના મોતની ચિઠ્ઠી વોટ્સએપના માધ્યમથી પરિવારને મળી હતી.
ઉના તાલુકાના દાંડી ગામના કાળુભાઈ વીરાભાઇ શિયાળ પોરબંદર માછીમારી કરવા ગયા હતા. જેઓને ૨ વર્ષ પૂર્વે ભારતીય જળ સીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરી લાડી જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. કાળુભાઈ ૩ દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે ૬ જુલાઈના રોજ કાળુભાઇ શિયાળનું મોત થયું હતું. આ અંગેની જાણકારી વોટ્સએપના માધ્યમથી પરિવારને પત્ર મોકલતા પરિવાર પર આભ ફાટ્યું હતું. આ ચિઠ્ઠી દાંડી ગામના પાકિસ્તાન જેલમાં બંદીવાન અન્ય માછીમારે લખી વોટ્સએપના માધ્યમથી મોકલી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ૨ વર્ષ પૂર્વે પાકિસ્તાન જેલમાં બંધ ઉના તાલુકાના માછીમાર પાકિસ્તાન જેલમાંથી જીવતા તો ન આવ્યા પણ તેમના મૃત્યુના સમાચાર ૧૨ દિવસ બાદ વોટ્સએપના માધ્યમથી એક પત્ર દ્વારા મળ્યા હતા જે પત્રમાં જણાવાયું હતુ કે સરપંચને જણાવી દેશો કે ગરાળ ગામના અને દાંડી ગામે રહેતા કાળુભાઈ વીરાભાઇ શિયાળ છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા હતા જેમનું બુધવાર બપોરે મોત થયું છે. આ ચિઠ્ઠી તમને મળે એટલે તાત્કાલિક અમને વળતી ચિઠ્ઠી લખી મોકલાવજો અને અમે બધા ભેગા છે કંઈ ચિંતા ન કરશો તેમજ તમે લોકો સરકારને રજૂઆત કરો જેથી મૃતક માછીમારનો મૃતદેહ ભારત લવાય અને અન્ય માછીમારોને પણ મુક્ત કરવામાં આવે. ઉના તાલુકાના દાંડી ગામના કુલ ૫૦૦ થી વધુ લોકો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે જેમાં ગામના કુલ ૩૫ જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ સરકારને અનેક વાર રજૂઆત કરવા છતાં જરૂરી કાર્યવાહી કે જવાબો ન મળતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોના પરિવારની મહિલાઓ દ્વારા જણાવાયું હતું કે મૃતક કાળુભાઈ વીરાભાઇ શિયાળનો મૃતદેહ વહેલી તકે માદરે વતન પહોંચાડવામાં આવે અને બંધ માછીમારોને વહેલી તકે મુક્ત કરવામાં આવે તેવું જણાવાયું હતુ.
આભારસહ: ધર્મેશ જેઠવા ઉના








