નવજીવન ન્યૂઝ.નવી દિલ્લી: છેલ્લા ઘણાં સમયથી મતદાતા યાદીનો વિવાદ ચાલી રહ્યો છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને અન્ય રાજ્યોમાં મતદાતા યાદીમાં ઘાલમેલ થઈ રહી છે તે વિશે રાહુલ ગાંધી ખોંખારીને બોલી રહ્યા છે. હાલમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિરોધી પક્ષો અને વિશેષ કરીને રાહુલ ગાંધીએ તે વિશે નિવેદન આપી રહ્યા છે. આ સત્ર દરમિયાન બિહાર મતદાતા યાદી અંગે સાંસદોએ ગૃહની અંદર અને બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેઓ પાંચ ઑગસ્ટના રોજ બેંગ્લુરુમાં ઇલેક્શન કમિશન સામે ધરણાં કરીને એક વિગતો જાહેર કરશે – આ વિગતો જાહેર થશે ત્યારે તેની અસર ‘એટમ બોમ્બ’ જેવી હશે તેવું રાહુલ ગાંધીનું કહેવું છે. જે 5 ઓગસ્ટે ફોડવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ મતદાતા યાદીને લઈને રાહુલ ગાંધી પ્રશ્ન ઉઠાવી રહ્યા છે અને ઇલેક્શન કમિશનને જવાબ માંગી રહ્યા છે. એવો આરોપ છે કે મહારાષ્ટ્રમાં મતદાતાની યાદીમાં એક કરોડ જેટલાં નામ ડમી હતા. હવે રાહુલ ગાંધી આવો પ્રશ્ન આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ઉઠાવી રહ્યા છે. એટલું જ નહીં તેઓ આવતીકાલે કર્ણાટકમાં લોકસભાની ચૂંટણી દરમિયાન થયેલી મતદાતા યાદીની ઘાલમેલને ઉજાગર કરવાના છે. રાહુલ ગાંધી જે તથ્યો ઉજાગર કરવાના છે તેમાં શક્યતા છે કે બેંગલુરુની સેન્ટ્રલ બેઠક અંતર્ગત આવતી મહાદેવપુરા વિધાનસભાની બેઠક–માં મોટા પ્રમાણમાં મતદાતા યાદીમાં બહારના લોકોના નામ ઉમેરવામાં આવ્યા હતા. આ તથ્યોને ઉજાગર કરવા માટે કર્ણાટકમાં કોંગ્રેસ પક્ષ મોટાં પ્રમાણમાં તૈયારી કરી રહ્યું છે.
મતદાતા યાદીનો પ્રશ્ન સંસદમાં તો ગાજી રહ્યો છે પરંતુ સુપ્રીમ કોર્ટમાં પણ તેની સુનાવણી થઈ રહી છે. બિહારમાં થોડાં દિવસોમાં વિધાનસભાની ચૂંટણી છે એટલે વિપક્ષી દળો સંસદમાં આ અંગે ચર્ચા થાય તેવું ઇચ્છે છે. જે માટે સરકાર તૈયાર નથી. આ અંગે વિપક્ષી દળોએ લોકસભાના અધ્યક્ષને પત્ર સુધ્ધા લખ્યો છે. રાહુલ ગાંધી ઇલેકશન કમિશનની ટીકા કરી રહ્યા છે તેમાં ક્યાંય તેઓ નરમ પડતાં દેખાતા નથી. તેઓ પોતાની પાસે આ વિશે પુરાવા હોવોનું પણ મીડિયાને જણાવી ચૂક્યા છે. તેઓ કહી ચુક્યા છે કે તેમની પાસે પુરાવાઓ છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે તેઓ ઇલેક્શન કમિશનને કોઈ પણ રીતે છોડશે નહીં. સામે પક્ષે ઇલેક્શન કમિશનનું કહેવું છે કે રાહુલ ગાંધી ઇલેક્શન કમિશન પર વિચિત્ર આરોપ લગાવી રહ્યા છે અને હવે આરોપ સિદ્ધ કરવાના બદલે ધરણાં કરવાની ધમકી આપી રહ્યા છે. જોકે બીજી બાજુ ઈલેક્શન કમિશન પણ રાહુલ ગાંધીના શબ્દોને ઉડાઉ કહી આરોપોને ફગાવી ચુક્યું છે પરંતુ હવે માત્ર 24 કલાક જેટલો સમય બાકી છે.
આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને ફરી વાર મતદાતા યાદીને લઈને રાહુલ ગાંધી આક્રમક તેવર દાખવી રહ્યા છે. જોકે સરકાર કે ઇલેક્શન કમિશન ખોટી મતદાતા યાદી બનાવી છે – તેને લઈને રાહુલ ગાંધી હજુય મીડિયા સમક્ષ પુરાવા આપ્યા નથી. આવતીકાલે મંગળવારે આ અંગે કોઈ માહિતી સામે આવે તેની લગભગ દરેક રાહ જોઈ રહ્યું છે.








