નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ દેશભરમાં આવતી કાલથી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગરબા રસીકો બે વર્ષ બાદ આ વર્ષે ગરબે ઝુમવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજીબાજુ ગરબાના આયોજકો દ્વારા પણ ગરબાના આયોજનને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આ વર્ષે ગરબાની મંજૂરી માટે શહેર પોલીસ દ્વારા કેટલાક કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં આયોજકે પાર્કિંગની વ્યવસ્થા ફરજિયાક કરવાનું જણાવવામાં આવ્યું છે.
અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ સહિત રાજ્યમાં 70થી વઘુ જગ્યાએ રાજ્ય સરકાર દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી બાજુ અમદાવાદમાં એસ.જી. હાઈવે, સિંઘુ ભવન રોડ પર મોટા પાયે ગરબાનું આયોજન થતું હોય છે. જેથી શહેરના માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદના ગરબા આયોજક સાથે પોલીસની મિટિંગ મળી હતી. જેમા કેટલાક નિયમોનું પાલન કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
સમગ્ર બાબત અંગે ટ્રાફિક પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ કહ્યું કે, ગરબાના સ્થળથી પાર્કિંગની જગ્યા 100 મીટર દૂર હોવી જોઈએ. ઉપરાંત વાહન પાર્ક કરવા માટે સ્વયંસેવકો રાખવા પડશે. જો કોઈ ગરબા સ્થળની બહારના રોડ પર ટ્રાફિકજામ થશે તો પોલીસ તે ગરબાની મંજૂરી રદ કરી દેશે. ગરબાના સ્થળે લેડિઝ અને જેન્ડસ સિક્યુરિટી ગાર્ડને રાખવા પડશે. એન્ટ્રી- એક્ઝિટ પોઈન્ટ અને પાર્કિંગમાં હાઈ રિઝોલ્યુશનવાળા CCTV કેમેરા લાગાવવા પડશે. રસ્તા પર વાહન પાર્ક કરવામાં આવ્યું હશે તો વાહન ટો કરી જશે. પોલીસ 1 હજાર એનેલાઈઝરથી સજ્જ રહેશે. ઉપરાંત લાઉડ સ્પીકર ઉપર અશ્લીલ ગીતો નહીં ગાવા સ્પષ્ટ સુચના આપવામાં આવી છે.








