નવજીવન ન્યૂઝ.બોટાદઃ બોટાદના બરવાળા ખાતે ઝેરી દારુ પીધા પછી 10થી વધુ વ્યક્તિની હાલત લથડી પડી છે. 8 વ્યક્તિના મોતની આશંકા છે. દારુનો વેપલો ગુજરાતમાં ઠેરઠેર બેફામ ચાલે છે તેનું આ પરિણામ છે. આ ઘટનાની જાણ થતાં રેન્જ આઈજી, બોટાદ એસપી, ડીવાયએસપી સહિતનો કાફલો હોસ્પિટલ દોડી ગયો છે. પ્રારંભીક તપાસમાં તમામ લોકોએ નભોઈ ગામેથી દેશી દારૂ પીધો હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનામાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ વધુ આધાર રાખે છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટને આધારે ઝેરી દારુને કારણે જ આ લોકોના મોત થયા છે કે કેમ તેની જાણકારી મળશે. હાલ મૃતકોના પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી ચાલી રહી છે. લઠ્ઠાકાંડની જાણકારી સામે આવતા હોસ્પિટલમાં ટીમ પણ ખડેપગે કરી દેવાઈ છે. મૃત્યુ આંક વધુ ન વધે તે માટે તંત્રને હવે દોડતું થઈ જવું પડ્યું છે. હાલ જોકે તંત્ર માટે એક જ બાબત મહત્વની છે કે જે લોકોની હાલત લથડી પડી છે તેમના મૃત્યુની સંખ્યા વધે નહીં અને સારવાર તેમને કારગર નીવડે. આખરે જ્યારે આ લખાય છે ત્યારે વિગતો એવી પણ મળી રહી છે કે13થી વધુ લોકોની હાલત લથડી છે અને મૃતકાંક છ સુધી પહોંચ્યો છે જોકે તે બાબતની સત્તાવાર માહિતી હજુ સુધી તંત્ર પાસેથી આવી નથી.

ઉલ્લેખનીય છે, ગુજરાતમાં વર્ષો પછી આવી ઘટના બની છે. અગાઉ પણ ઘણા લોકો ઝેરી દારુ પીવાને કારણે મૃત્યુ પામી ચુક્યા છે. લઠ્ઠાકાંડની વાત આજની નથી. અગાઉ 2009માં અમદાવાદમાં ઘણા સ્થાનો પર લઠ્ઠાકાંડ થયો હતો. હવે જ્યારે આ ઘટના બોટાદમાં બની છે ત્યારે તંત્ર માટે પ્રારંભીક પ્રશ્ન લોકોની તબીયતનો છે પરંતુ આગામી સમયમાં આ કાંડના આરોપીઓ સામે તંત્ર સકંજો કસે તો નવાઈ નહીં.

ભાવનગર સર ટી હોસ્પિટલમાંથી ટીમ જવા રવાના થઈ છે. બોટાદ એસપીની સૂચનાને આધારે ડોક્ટર સહિતની ટીમ આઈસીયુ એમ્બ્યુલન્સ સાથે બોટાદ જવા રવાના થઈ છે. હાલમાં ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપ્યો છે.








