નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતનાં બોટાદ જીલ્લામાં થયેલા કથિત લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા દેશી દારૂના અડ્ડાઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે. જોકે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની કોઈ જગ્યાએ અછત નથી તે જગજાહેર છે, પણ આમાં માત્ર પોલીસ એકલી જવાબદાર નથી ઘણી જગ્યાએ રાજકીય પરિબળો પણ આમાં કામ કરતાં હોય છે. તેમ છતાં પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં દેશી દારૂનું વેચાણ જે વિસ્તારોમાં વધારે થાય છે ત્યાં આજે વહેલી સવારથી પોલીસ દ્વારા સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ દ્વારા ડ્રોનની પણ મદદ લેવામાં આવી છે.
રાજકોટ શહેરના જંગલેશ્વર, કીટીપરા, કુબલિયાપરા અને છોટુનગરમાં દેશીદારૂનું મોટા પાયે વેંચાણ થતું હોય છે તેવી પોલીસને બાતમી મળી હતી, જે બાતમીના આધારે આજે વહેલી સવારથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ અને સ્ટાફ દ્વારા રાજકોટના જંગલેશ્વર, કીટીપરા, કુબલિયાપરા અને છોટુનગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા શોધવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નવતર પ્રયોગ રૂપે ડ્રોન કેમેરાની મદદથી આ અડ્ડા શોધવાનું શરૂ કર્યું છે.
રાજકોટ પોલીસની આ સ્પેશિયલ ડ્રાઈવમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના DCP પાર્થરાજસિંહ ગોહિલ સહિત ACP ક્રાઇમ ડી. વી. બસિયાની રાહબરીમાં SOG PI જે. ડી. ઝાલા, ક્રાઇમ બ્રાન્ચ PI વાય. બી. જાડેજા, જે. વી. ધોળા ઉપરાંત પેરોલ ફર્લોની ટીમના PSI બી. ટી. ગોહિલ અને તેમની ટિમ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.








