નવજીવન ન્યૂઝ, સુરત : સુરત શહેર (Surat City) માં અઢી લાખથી વધુ બંગાળીઓ વસે છે. રોજગાર માટે સુરત આવેલા આ બંગાળી શ્રમિકોને આ વખતે ચૂંટણી ટાણે વતનમાં મોકલા માટેની વ્યવસ્થા BJP એ કરી નાંખી છે. ઉનાળાના વેકેશનનો સમય હોવાથી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે. આવા સમયે કન્ફર્મ ટિકિટ મળવી શક્ય નથી. જેથી ભારતીય જનતા પાર્ટીએ શ્રમિકોની વતન જવાની ઈચ્છા અને પક્ષની મત મેળવવાની જરૂરિયાત બંનેને એકસાથે સાંકળી લેતી વ્યૂહરચના ગોઠવી કાઢી છે. શ્રમિકો ‘ફ્રી ટ્રેન’ની સુવિધા મળતા ભારે ઉત્સાહમાં છે.
ભાજપના કટ્ટર સમર્થક એવા માન્ય મતદારને મળશે લાભ
ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનરજીને હંફાવવા સુરતથી એક વ્યૂહરચના ગોઠવી છે. સુરતમાં વસેલા બંગાળી શ્રમિકો ભાજપની તરફેણમાં મતદાન કરે તે માટે સુરત ભાજપ કાર્યલાય (Surat BJP Office) અને સુરત બંગાળી સમાજે આયોજનના ભાગરૂપે કુલ 4 સ્પેશિયલ ટ્રેન વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ ખાતે દોડાવવાના છે. આ અભિયાન અંતર્ગત કુલ 4 સ્પેશિયલ ટ્રેન દ્વારા 5 હજાર જેટલા મતદારોને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે. ભાજપના કટ્ટર સમર્થક હોય અને માન્ય મતદાર હોય તેવા જ લોકોની પસંદગી કરવામાં આવી છે.

5 હજારને મોકલી 10 લાખ મતનો ટાર્ગેટ
સુરતમાં અઢી લાખથી વધુ લાખ બંગાળીઓ છે. જે મુખ્યત્વે ડાયમંડ, જ્વેલરી અને ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી અથવા કારીગરીનું કામ કરે છે. 5 હજાર મતદારો માત્ર આંકડો નહીં પરંતુ એક મોટું નેટવર્ક છે. 5 હજાર લોકો પશ્ચિમ બંગાળ પોતાના વતમાં જશે ત્યારે તેમના પરિવારના સભ્યોને પણ ભાજપ તરફ વાળશે. ભાજપનો અંદાજ છે કે, આ મુસાફરો દ્વારા તેઓ બંગાળમાં 10થી 12 લાખ મતો પર સીધી કે આડકતરી અસર પાડી શકશે.








