મુખ્ય મુદ્દા:
અરવલ્લી જિલ્લાની સાઠંબા પીપલ્સ કો-ઓપરેટિવ બેંકમાં ₹૩ કરોડથી વધુની નાણાકીય ઉચાપતનો પર્દાફાશ.
ઈન્ચાર્જ મેનેજર પિંકલ પટેલે RBI કોડ-પાસવર્ડનો દુરુપયોગ કરી સગા-વ્હાલાના ખાતામાં ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરી.
એક વર્ષથી ચાલતા કૌભાંડની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને વાર્ષિક ઓડિટમાં પણ જાણ ન થતા અનેક સવાલો ઉઠ્યા.
ખાતેદારો અને સભાસદોના ટોળેટોળા બેંક પર ઉમટ્યા, સત્તાધીશો દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ.
નવજીવન ન્યૂઝ.અરવલ્લી: ઉત્તર ગુજરાતમાં વધુ એક નાણાકીય કૌભાંડ સામે આવતા નાના રોકાણકારો અને ખાતેદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અરવલ્લી જિલ્લાની નામાંકિત ગણાતી સાઠંબા પીપલ્સ કો-ઓપરેટિવ સહકારી બેંકના ઈન્ચાર્જ મેનેજરે જ ₹૩ કરોડથી વધુ રકમનું ફૂલેકું ફેરવી દીધું હોવાની વાત શનિવારે સવારે બજારમાં ફેલાતા ચકચાર મચી ગઈ હતી.
કેવી રીતે આચર્યું કૌભાંડ?
પ્રાથમિક માહિતી અનુસાર, બેંકના ઈન્ચાર્જ મેનેજર પિંકલ ડી. પટેલે પોતાના હોદ્દાનો ગેરલાભ ઉઠાવ્યો હતો. તેણે મેનેજર પાસે રહેતા ખાસ RBI કોડ અને પાસવર્ડનો ઉપયોગ કરીને, છેલ્લા એક વર્ષ દરમિયાન તબક્કાવાર રીતે પોતાના સગા-વ્હાલાઓના બેંક ખાતામાં કરોડો રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું હતું. એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, પિંકલ પટેલે આ ઉચાપતની રકમનો ઉપયોગ ઈન્ટ્રાડે ઓનલાઈન સટ્ટો રમવા માટે કર્યો હતો. તેની કૌભાંડ આચરવાની મોડસ ઓપરેન્ડી એટલી શાતિર હતી કે બેંકના વર્તમાન હોદ્દેદારો પણ શરૂઆતમાં સમજી શક્યા નહોતા.
ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળાં
શનિવારે સવારે જ્યારે આ મોટા ગફલાની જાણ બેંકના ચૂંટાયેલા હોદ્દેદારોને થઈ, ત્યારે તેઓ હાંફળા-ફાંફળા થઈ ગયા હતા. વાત વાયુવેગે ફેલાતા જ બેંકના સભાસદો અને ખાતેદારોના ટોળેટોળાં બેંક પર ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને ઉચાપતની ચોક્કસ રકમ જાણવા માટે બેંક સત્તાધીશોએ તાત્કાલિક ખાસ ઓડિટરોને બોલાવીને હિસાબોની ચકાસણી હાથ ધરી છે. હાલ, આરોપી ઈન્ચાર્જ મેનેજર પિંકલ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ઓડિટર્સની ભૂમિકા પર સવાલો
આ ઘટનાએ બેંકના સંચાલન અને ઓડિટ પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સાઠંબાના નગરમાં અને ખાતેદારોમાં હાલ એક જ ચર્ચા છે:
જો આ કૌભાંડ છેલ્લા એક વર્ષથી ચાલતું હતું, તો બેંકના ચેરમેન, એમડી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને તેની ગંધ સુદ્ધાં કેમ ન આવી?
દર ત્રણ મહિને થતું ઈન્ટર્નલ ઓડિટ અને વાર્ષિક ઓડિટમાં આટલી મોટી નાણાકીય ઉચાપત કેમ પકડાઈ નહીં?
શું બેંકમાં ન્યાયિક પ્રક્રિયાને બદલે ‘માનીતા અને કહ્યાગરા’ કર્મચારીઓની ભરતી આ કૌભાંડ માટે કારણભૂત છે?
ખાતેદારો મુજબ, છેલ્લા ઘણા સમયથી ઈન્ચાર્જ મેનેજર પિંકલ પટેલનું વર્તન રહસ્યમય હતું, તેમ છતાં કોઈએ તેની ગંભીરતાથી નોંધ લીધી નહોતી.
(અરવલ્લીથી જય અમિનનો અહેવાલ/તસવીરો)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796