નવજીવન ન્યૂઝ. અમદાવાદ: સસ્પેન્ડેડ બીજેપી પ્રવક્તા નુપુર શર્માની પ્રોફેટ મોહમ્મદ પર કથિત અપમાનજનક ટિપ્પણી બાદ મલેશિયા અને ઈન્ડોનેશિયામાં હેકર્સે ભારત વિરુદ્ધ સાયબર યુદ્ધ છેડ્યું હતું. અમદાવાદ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે હેકર જૂથો ડ્રેગન ફોર્સ મલેશિયા અને હેકટીવિસ્ટ ઇન્ડોનેશિયાએ ભારત વિરુદ્ધ સાયબર હુમલાઓ કર્યા હતા. આ સિવાય આ હેકર ગ્રૂપે વિશ્વભરના મુસ્લિમ હેકર્સને ભારત પર સાયબર હુમલા શરૂ કરવાની અપીલ કરી હતી.
અમદાવાદની સાયબર ક્રાઈમ ટીમના અધિકારીઓએ હેકર જૂથો સામે લુકઆઉટ નોટિસ માટે મલેશિયા અને ઈન્ડોનેશિયાની સરકારો અને ઈન્ટરપોલને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે થાણે પોલીસ, આંધ્રપ્રદેશ પોલીસ અને આસામની એક ન્યૂઝ ચેનલ સહિત બે હજારથી વધુ વેબસાઈટ હેક કરવામાં આવી છે. જીવંત પ્રસારણ દરમિયાન, ન્યૂઝ ચેનલની સ્ક્રીન અંધારી થઈ ગઈ અને તેના પર પાકિસ્તાની ધ્વજ દેખાયો. આ સિવાય ચેનલના નીચલા બેન્ડ પર એક ટેક્સ્ટ દેખાયો. તેમાં લખ્યું હતું, “પવિત્ર પયગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ.નું સન્માન કરો”.
આ કેસની માહિતી આપતા અમદાવાદ પોલીસના સાયબર ક્રાઈમના ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે, “અમે મલેશિયા અને ઈન્ડોનેશિયાના હેકિંગ ગ્રુપના કેટલાક હેકર્સ વિશે માહિતી મેળવી છે. તેમની આઈપી માહિતી પણ કાઢવામાં આવી છે. આ લોકોએ વધુ 2 હજાર લોકો એકત્ર કર્યા છે. આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. “હેકર જૂથો દ્વારા 2,000 થી વધુ વેબસાઇટ્સ હેક કરવામાં આવી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમે મલેશિયા અને ઇન્ડોનેશિયાની સરકારોને અને ઇન્ટરપોલને પણ બંને જૂથો માટે લુકઆઉટ નોટિસ જારી કરવા માટે પત્ર લખ્યો છે,” અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ જણાવ્યું હતું.
સાયબર ગુનેગારોએ નુપુર શર્માના સરનામા સહિતની અંગત વિગતો પણ ઓનલાઈન સરક્યુલેટ કરી છે. ઘણા લોકોના આધાર કાર્ડ અને પાન કાર્ડની વિગતો પણ ઓનલાઈન લીક થઈ ગઈ છે. નુપુર શર્માની આ ટિપ્પણીએ વૈશ્વિક વિવાદ જગાવ્યો હતો. તેમની ટિપ્પણીની અનેક દેશો દ્વારા નિંદા કરવામાં આવી હતી. આ પછી ભારે વિરોધ થયો અને આરબ દેશોમાં સુપરમાર્કેટમાંથી ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાના અહેવાલો પણ સામે આવ્યા. આ વિવાદ બાદ ભાજપે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.








