નવજીવન ન્યૂઝ, અમદાવાદ: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં DNA સેમ્પલ મેચનો કુલ આંક 80 થયો છે. જે પૈકી 33 પાર્થિવ દેહ સંબંધિત પરિવારજનોને સન્માનપૂર્વક સોંપાયા છે.
DNA સેમ્પલ મેચ થયા છે તે 80 પૈકીનાં 33 વ્યક્તિના પાર્થિવદેહ પરિવારજનોને સન્માનપૂર્વક સોંપાયા છે. અન્ય 2 વ્યક્તિનાં પરિવારજનો આજે રાત્રે પાર્થિવદેહ સ્વિકારવા આવશે, 13 વ્યક્તિનાં પરિવારજનો આવતીકાલે, 21 વ્યક્તિનાં પરિવારજનો પરિવારમાં પરામર્શ બાદ પાર્થિવદેહ સ્વિકારવા આવશે. જ્યારે બાકીનાં 11 વ્યક્તિનાં કિસ્સામાં પરિવારનાં અન્ય લોકો પણ આ જ દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાથી અન્ય વ્યક્તિઓનાં DNA સેમ્પલ મેચ થયા બાદ પાર્થિવદેહ સ્વિકારવા આવશે.

અત્યાર સુધીમાં અમદાવાદની 12, બરોડાની 5, ખેડાની 2, બોટાદના 1, ઉદયપુરની 1, મહેસાણાની 4, જોધપુરની 1, અરવલ્લીની 1, આણંદની 4 અને ભરૂચની 2 વ્યકિતનાં પાર્થિવદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે.
અમદાવાદમાં 12મી જૂને એર ઇન્ડિયાનું લંડન જઇ રહેલુ્ AI171 વિમાન મેધાણીનગરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે રાત્રે 10:15 કલાકે મીડિયા બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે.








