પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): 2002માં અમદાવાદ સહિત ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં તોફાન ફાટી નીકળ્યા હતા, અમદાવાદના પોલીસ કમિશનર તરીકે પ્રશાંતચંદ્ર પાંડે હતા, નખશીખ પ્રમાણિક અને સજ્જન માણસ, મને તેમના પ્રત્યે આદર પણ ખરો. મારી છાપ પ્રમાણે તેઓ સંવેદનશીલ પણ ખરા, પણ જયારે તોફાના ફાટી નીકળ્યા, અનેક કીડી મકોડાની જેમ માણસો એકબીજાને મારી નાખવા લાગ્યા ત્યારે પ્રશાંતચંદ્ર પાંડે ખુબ દુખી થઈ ગયા, એક તબ્બકે તેમણે પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દેવાનો પણ વિચાર કર્યો, તેમની વ્યથિત સ્થિતિ મેં જોઈ હતી, હું પહેલા તબ્બકામાં એવુ માનતો હતો કે તોફાનની વિકરાળતા એટલી હતી કે પોલીસ કમિશનર પાંડે કઈ કરી શકે તેમ ન્હોતા, પણ સમય પસાર થતાં મને સમજાયુ કે મારી માન્યતા ભુલ ભરેલી હતી, કોઈ પણ માણસ પ્રમાણિક હોય તે સારી બાબત છે, તેની સાથે અત્યંત વ્યકિતગત બાબત પણ છે, પરંતુ પ્રમાણિકતા તમને શક્તિશાળી બનાવે છે, પણ જો પ્રમાણિકતા લાચાર બનાવી દે તો તેવી પ્રમાણિકતાનો કોઈ અર્થ નથી. ગુજરાત પોલીસમાં અમદાવાદના પોલીસ કમિશનરનું પદ બીજા નંબરનું પદ ગણાય છે.
જે પોલીસ કમિશનર થોડા મહિનામાં ગુજરાતના પોલીસ વડા થવાના હોય પણ તે જો લાચાર અને પોતાને અસહાય સમજતા હોય તો ગુજરાતની પ્રજા કેવી રીતે સલામત રહી શકે? પ્રશાંતચંદ્ર પાંડે પ્રમાણિક પોલીસ અધિકારી હતા, પરંતુ તેમના કાર્યકાળમાં બીનસત્તાવાર આંક પ્રમાણે બે હજાર લોકોના મૃત્યુ થયા અને તેઓ આ તોફાનને અટકાવવાના પ્રયત્ન કરવાને બદલે પોતાને અસહાય સમજે તો તેમની પ્રમાણિકતાનો કોઈ અર્થ નથી, એક આઈપીએસ અધિકારીના કેપ, બેલ્ટ અને તેમના હાથમાં રહેલી લાઠી ઉપર અશોકસ્તંભ હોય છે, આ અશોકસ્તંભ તમને લોકોના રક્ષણની જવાબદારી સોંપે છે. ગુજરાત પોલીસના નાના મોટા તમામ પોલીસ અધિકારીની કેપ ઉપર અશોકસ્તંભ હોય છે, અશોકસ્તંભ ધારણ કરવુ બહુ મહેનત અને ગૌરવની વાત છે કારણ દેશના વડા પ્રધાન અને મુખ્યપ્રધાન પણ અશોકસ્તંભ ધારણ કરી શકતા નથી, ત્યારે વડાપ્રધાન અને મુખ્યમંત્રી કરતા પણ વધુ જવાબદારી જેમના માથા ઉપર અશોકસ્તંભ છે તેમની છે.
પરંતુ પાંડેજી માત્ર પ્રમાણિક છે તેના કારણે બે હજાર લોકો મરી જાય તે માટે તેમને માફ કરી શકાય નહીં, મેં 2002ના કોમી તોફાન બહુ નજીકથી જોયા હતા, અમદાવાદમાં એવા પોલીસ અધિકારીઓ પણ હતા જેમની ઉપર અનેક પ્રકારની અપ્રમાણિકતાના આરોપ થઈ રહ્યા હતા, પણ જેવા તોફાન શરૂ થયા તેની સાથે આ અધિકારીઓને મેં રસ્તા ઉપર જોયા અને તોફાન કરનાર કયા ધર્મનો, કયા પક્ષનો છે તે જોયા વગર તેમણે કાયદો જે કહે તે પ્રમાણે કામ કર્યુ હતું, ત્યારના અમદાવાદના એડીશનલ પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ અમદાવાદના પટવાશેરી વિસ્તારમાંથી કોમ્બીંગ ઓપરેશન કરી તોફાન કરનાર 70 મુસ્લીમ આરોપીને પકડયા હતા. પોલીસને ડર હતો કે તેમને છોડવા મુસ્લીમોનું ટોળુ આવશે એટલે તમામ 70 મુસ્લીમ આરોપીઓને અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. સાબરમતી વિસ્તાર હિન્દુ વિસ્તાર છે, પોલીસ સ્ટેશનમાં મુસ્લીમોને લાવ્યા છે તેવા સમાચાર પ્રસરતા હિન્દુઓના ટોળાએ પોલીસ સ્ટેશન ઘેરી લીધુ તેઓ માંગ કરી રહ્યા હતા કે આરોપીઓ અમને સોંપો અમે હિસાબ કરીશું.
સાબરમતી પોલીસ સ્ટેશનમાં રહેલા પોલીસ અધિકારીએ નિર્ણય કર્યો કે આરોપી ભલે મુસ્લિમ હોય પણ આપણી કસ્ટડીમાં રહેલા આરોપીનો જીવ બચાવવાનું કામ આપણુ છે. ટોળુ હિન્દુઓનું હતું જો તેમની ઉપર બળ પ્રયોગ થાય તો સરકાર નારાજ થવાનો પુરો ભય હતો, પણ તત્કાલીન પોલીસ અધિકારીએ નિર્ણય કર્યો કે આપણી કસ્ટડીમાં રહેલા આરોપીને કઈ થવુ જોઈએ નહીં. તે પોલીસ સ્ટેશનની બહાર આવ્યા અને ટોળાને ચેતવણી આપ્યા પછી પણ ટોળુ વિખરાયુ નહીં અને તેમણે 303 રાયફલથી ફાયરિંગ કર્યુ જેમાં ત્રણ હિન્દુના મોત થયા પણ મુસ્લીમ આરોપીઓનો જીવ બચાવ્યો હતો. આવુ જ અનેક અન્ય પોલીસ અધિકારીઓએ કર્યુ હતું. તેમણે આ વખતે એવો દાવો કર્યો ન્હોતો કે અમે પ્રમાણિક છીએ કે અપ્રમાણિક, પોલીસનું કામ રક્ષણ કરવાનું હોય છે. વાત માત્ર પોલીસની જ નથી પ્રમાણિકતાની વાત નીકળે ત્યારે સમાજના નાના મોટા તમામ માણસોને આ વાત લાગુ પડે છે. આપણી પ્રમાણિકતા સારી બાબત છે પણ પ્રમાણિકતા જયાં સુધી કોઈને જીવાડી શકે નહીં તેવી પ્રમાણિકતાનો અર્થ સરતો નથી.
પ્રમાણિક હોવુ અને સક્ષમ પણ હોવુ એટલુ જ જરૂરી છે. 2002ના તોફાન વખતે ભાવનગરના એસપી રાહુલ શર્મા હતા પ્રમાણિક અને સક્ષમ પણ ખરા તેમણે પોતાનું કામ પ્રમાણિકપણે કર્યુ, જેના કારણે સરકાર નારાજ પણ થઈ અને તેની તેમણે કિંમત પણ ચુકવી આખરે પોલીસ સેવામાંથી રાજીનામુ આપી હાલમાં હાઈકોર્ટમાં પ્રેકટીસ કરે છે. અમદાવાદના એક સિનિયર આઈપીએસ જેઓ આજે પણ પોતાને પ્રમાણિક રાખી શકયા છે, એક દિવસ તેમની સાથે વાત થતા તેમણે મને કહ્યું પ્રમાણિકતા અત્યંત સુક્ષ્મ છે, તેમણે મને કહ્યું હું પોતે પ્રમાણિક છું તેવુ કહી શકુ નહીં હું પૈસા લેતો અને પૈસા આપતો નથી તે વાત સાચી જ છે છતાં હું પ્રમાણિક નથી તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે મને સીગરેટ પીવાની ટેવ છે, હું રોજ સવારે ઓફિસમાં આવુ છું ત્યારે મારા ઓફિસના ડ્રોવરમાં સીગરેટનું પાકિટ હોય છે આ પેકેટની કિંમત 400 રૂપિયા છે, જે મારા પગારમાંથી હું આપતો નથી, મારો સ્ટાફ મારા કિધા વગર સીગરેટ મુકે છે. તો આ પણ એક પ્રકારની અપ્રમાણિકતા જ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.