Adani Group gets major relief in US case : અમેરિકાની એક અદાલતે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) અને તેમના ભત્રીજા સાગર અદાણી (Sagar Adani) સામે કથિત છેતરપિંડી અને લાંચ લેવાના ગુનાહિત આરોપોને કાયમ માટે ફગાવી દીધા છે. ન્યૂયોર્કના ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગારૌફિસે ફેડરલ પ્રોસિક્યુટર્સને આરોપો પાછા ખેંચવાની મંજૂરી આપતાં કેસ બંધ કરાયો છે. ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ (DoJ) એ સ્વીકાર્યું કે કેસ કાયદાકીય રીતે નબળો અને અમેરિકાના અધિકારક્ષેત્ર બહારનો હતો. આ નિર્ણયથી અદાણી ગ્રુપને વૈશ્વિક સ્તરે મોટી રાહત મળી છે અત્રે નોંધનીય છે કે, કોર્ટનો આ નિર્ણય “ડિસમિસલ વિથ પ્રિજુડાઇસ” હેઠળ આવ્યો છે. તેનો અર્થ એ થયો કે, આ આરોપો પર ફરીથી કેસ દાખલ કરી શકાતો નથી અને કાયમી ધોરણે અંત આવ્યો છે.
ગૌતમ અદાણી પર વર્ષ 2024માં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેમણે ભારતીય સરકારી અધિકારીઓને લાંચ આપવા સંમતિ દર્શાવી હતી. જેથી અદાણી ગ્રુપની એક સહાયક કંપનીને સોલર એનર્જી પ્લાન્ટ વિકસાવવાની મંજૂરી મળી શકે. કોર્ટે ગૌતમ અદાણી, સાગર અદાણી અને અદાણી ગ્રીન ઍનર્જી લિમિટેડના ભૂતપૂર્વ સીઇઓ વિનીત જૈન સામેના આરોપોને ફગાવી દીધા છે. તેમાં સિક્યૉરિટીઝ છેતરપિંડીનું કાવતરું, વાયર ફ્રોડનો સમાવેશ થાય છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે કોર્ટમાં જણાવ્યું હતું કે, ‘આ કેસ પૂરેપૂરો ભારત સાથે જ સંકળાયેલો હતો. તેમાં ભારતીય અધિકારીઓ, ભારતીય કંપનીઓ અને ભારતમાં વીજળી પૂરી પાડવાના કરારો જ મુખ્ય બાબત હતા. અમેરિકાએ ‘વિશ્વના પોલીસ’ બનીને અન્ય દેશોના મામલામાં પડવું ન જોઈએ, કારણ કે તેનાથી રાજદ્વારી સંબંધો વણસે છે અને સમય તથા સંસાધનોનો ખોટો બગાડ થાય છે. ભારત પોતાની આંતરિક બાબતો અને કાયદાકીય વ્યવસ્થાને અમેરિકન પ્રોસિક્યુટર્સ કરતાં વધુ સારી રીતે સંભાળી શકે છે. આથી જ અદાણી ગ્રુપ સામે લગાવવામાં આવેલા સિક્યોરિટીઝ ફ્રોડના આરોપોનો કોઈ નક્કર કાયદાકીય આધાર નહોતો.’
ચુકાદો આવ્યા બાદ ગૌતમ અદાણીએ X પર પોસ્ટ કરીને લખ્યું- હું ન્યાયિક પ્રક્રિયા પ્રત્યે નમ્રતા અને ઊંડા સન્માન સાથે અમેરિકી અદાલતના નિર્ણયનું સ્વાગત કરું છું.








