Thursday, July 16, 2026
HomeNationalપુરી રથયાત્રા દરમિયાન નાસભાગ જેવી સ્થિતિ, એકના મોતના અહેવાલ, અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ

પુરી રથયાત્રા દરમિયાન નાસભાગ જેવી સ્થિતિ, એકના મોતના અહેવાલ, અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ

- Advertisement -

Odisha Puri Stampede like situation: ઓડિશા (Odisha)ના પુરી (Puri)માં ભગવાન જગન્નાથ (Lord Jagannath)ની વાર્ષિક રથયાત્રા (Rath Yatra) દરમિયાન ભારે ભીડ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઘટનામાં એક શ્રદ્ધાળુના મોતની માહિતી મળી રહી છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના પહિંદ વિધિ (Pahind Ritual) દરમિયાન બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટના બાહ્ય સુરક્ષા ઘેરાથી અંદાજે 500 મીટર દૂર બની હતી.

મળતી માહિતી મુજબ મહાપ્રભુની પહિંદ વિધિ પૂર્ણ થયા બાદ અને ચારમાલા હટાવવામાં આવ્યા પછી હોસ્પિટલથી અંદાજે એક કિલોમીટર દૂર આવેલા એક ચોક પાસે શ્રદ્ધાળુઓની ભારે ભીડમાં અચાનક ધક્કામુક્કી શરૂ થઈ હતી. આ દરમિયાન એક પુરુષ અને એક મહિલા શ્રદ્ધાળુ નીચે પડી ગયા હતા. તેઓ પડતાં જ ભીડના દબાણને કારણે આસપાસના અન્ય લોકો પણ રસ્તાની બાજુએ દબાઈ ગયા હતા, જેના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

- Advertisement -

ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ (Ambulance) મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ એક શ્રદ્ધાળુનું હોસ્પિટલમાં મોત થયું છે, જ્યારે સારવાર દરમિયાન અન્ય એક શ્રદ્ધાળુનું પણ મોત થયું હોવાની માહિતી સામે આવી છે. મૃતકોમાં એકની ઓળખ કટક (Cuttack) જિલ્લાના અનિલ દાસ (Anil Das) તરીકે થઈ હોવાનું જણાવાયું છે, જોકે પ્રશાસને હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

ઘટના બાદ પોલીસ (Police) અને સુરક્ષા દળો (Security Forces) તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. હોસ્પિટલ પરિસરમાં પરિજનોની ભારે ભીડ એકત્ર થઈ હતી અને સમગ્ર ઘટનાક્રમ પર પ્રશાસન નજર રાખી રહ્યું છે.

ઘટનાસ્થળે હાજર રહેલા એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે મારિચીકુંડ ચોક (Marichikund Square) પાસે બાહ્ય સુરક્ષા ઘેરાની દોરડાવાળી બેરિકેડિંગ (Barricading) તૂટી ગઈ હતી. ત્યારબાદ કેટલાક લોકોનું સંતુલન બગડતાં તેઓ રસ્તા પર પડી ગયા હતા. તેમણે દાવો કર્યો કે લગભગ 40થી 50 લોકો એકબીજા પર પડી ગયા હતા, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા અને ચારથી પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમણે આશરે 20 લોકોને બચાવીને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડ્યાનો પણ દાવો કર્યો.

- Advertisement -

સૂત્રોના જણાવ્યા મુજબ ભારે ભીડ અને સતત વરસાદ વચ્ચે શ્વાસ લેવામાં તકલીફ તથા અન્ય ઈજાઓની ફરિયાદ સાથે અત્યાર સુધીમાં અંદાજે 200 દર્દીઓને પુરીની હોસ્પિટલ અને અસ્થાયી આરોગ્ય કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2025ની રથયાત્રા દરમિયાન પણ ભીડ વ્યવસ્થાપનમાં થયેલી ચૂકને કારણે સર્જાયેલી નાસભાગમાં ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. હાલ પ્રશાસનની સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોવામાં આવી રહી છે અને સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.

ગુરુવારે પુરીમાં યોજાયેલી ભવ્ય રથયાત્રા નિહાળવા લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વિશ્વપ્રસિદ્ધ આ વાર્ષિક ઉત્સવની શરૂઆત નિર્ધારિત સમય પહેલાં જ પહિંદ વિધિ સાથે થઈ હતી. આ વિધિ દરમિયાન ભગવાન જગન્નાથ અને અન્ય દેવ-દેવીઓને 12મી સદીના શ્રી જગન્નાથ મંદિર (Shri Jagannath Temple)માંથી શોભાયાત્રા સ્વરૂપે સજાવેલા રથો સુધી લઈ જવામાં આવ્યા હતા. પવિત્ર વૈદિક મંત્રોચ્ચાર, પરંપરાગત વાદ્યો અને ઓડિસી (Odissi) નૃત્ય સાથે ગુન્ડીચા મંદિર (Gundicha Temple) તરફ ભગવાનની નવ દિવસીય યાત્રાનો પ્રારંભ થયો હતો. જોકે પહિંદ વિધિ સમય પહેલાં શરૂ થઈ હોવા છતાં તેને પૂર્ણ થતાં બે કલાકથી વધુનો સમય લાગ્યો હતો.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular