Wednesday, June 24, 2026
HomeGujaratAhmedabadતથ્ય પટેલ હજુ જેલ બહાર આવે તે પહેલા સુરતમાં નબીરાએ 5 લોકોને...

તથ્ય પટેલ હજુ જેલ બહાર આવે તે પહેલા સુરતમાં નબીરાએ 5 લોકોને કારથી ફંગોળી નાખ્યા

- Advertisement -

Surat Sarthana accident like Tathya Patel: તથ્ય પટેલ આજે જેલની બહાર આવે તેમ છે. તેણે 1 કરોડ રૂપિયા માત્ર 5 જ દિવસમાં કોર્ટની શરત પ્રમાણે જમા કરાવી દીધા છે. તથ્ય પટેલ જેલમાં બીડું પહોંચતા જ બહાર આવે તે પહેલા જ સુરતમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતને મળતી આવતી ઘટના બની છે. સુરત શહેરમાં ફરી એકવાર નશાખોર વાહનચાલકનો આતંક સામે આવ્યો છે. સરથાણા જકાતનાકા વિસ્તારમાં દારૂના નશામાં ધૂત એક કારચાલકે બેફામ ગતિએ કાર હંકારીને બે બાઈક અને એક કારને અડફેટે લેતા પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ આરોપી કારચાલકને પકડીને માર માર્યો હતો તેમજ તેની કારના કાચ તોડી નાખ્યા હતા.

મળતી માહિતી મુજબ સરથાણા જકાતનાકા પાસેથી પસાર થઈ રહેલી ઇલેક્ટ્રિક કાર (GJ 05 RU 2251)નો ચાલક વિજય દારૂના નશામાં કાર ચલાવી રહ્યો હતો. નશાની હાલતમાં તેણે કાર પરથી કાબૂ ગુમાવતા રસ્તા પર જઈ રહેલા બે બાઈક સવારોને જોરદાર ટક્કર મારી હતી. આ પછી પણ કાર અટકી નહોતી અને આગળ જઈને એક કાર સાથે પણ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને બાઈક અને કારને ભારે નુકસાન પહોંચ્યું હતું.

- Advertisement -

અકસ્માત સર્જાતા આસપાસના લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ જોયું કે કારચાલક નશાની હાલતમાં હતો, જેના કારણે લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ કારચાલક વિજયને વાહનમાંથી બહાર કાઢીને મેથીપાક ચખાડ્યો હતો. સાથે જ લોકોએ તેની ઇલેક્ટ્રિક કારના કાચ પણ તોડી નાખ્યા હતા.

આ અકસ્માતમાં પાંચ જેટલા લોકોને નાની-મોટી તેમજ ગંભીર ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ લોકોના મારને કારણે આરોપી કારચાલકને પણ ઇજાઓ પહોંચી હોવાથી તેને પોલીસ બંદોબસ્ત હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઈને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી. અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપી ચાલક સામે ગુનો નોંધી તે નશામાં હતો કે નહીં તેની તબીબી તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

સ્થાનિક યોગેશ હિરાણીએ જણાવ્યું હતું કે હીરાબાગ તરફથી આવી રહેલા કારચાલકે પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમના જણાવ્યા મુજબ કારચાલક સંપૂર્ણપણે નશાની હાલતમાં હતો અને કારમાંથી દારૂ સાથે વપરાતી નશીલી વસ્તુઓ પણ મળી આવી હતી. તેમણે જણાવ્યું કે આવી ઘટનાઓને કારણે વિસ્તારમાં મહિલાઓ અને સામાન્ય લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

સ્થાનિક મનીષ વાઘાણીએ જણાવ્યું હતું કે સરથાણા વિસ્તાર ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે અને નશામાં ધૂત કારચાલકે બે મહિલાઓ સહિત પાંચ લોકોને અડફેટે લીધા હતા. તેમણે આ ઘટનાની સરખામણી અમદાવાદમાં બનેલી સમાન ઘટનાથી કરતાં કહ્યું કે દારૂ અને ડ્રગ્સના નશામાં વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular