નવજીવન ન્યૂઝ, રાજકોટ : સમગ્ર રાજ્યમાં ચર્ચાના ચગડોળે ચઢેલા પડધરી હત્યા કેસ (Rajkot Paddhari’s shocking murder case) ના બે આરોપીઓને રાજકોટ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધા છે. વર્ષ 2024માં નોંધાયેલા દુષ્કર્મ અને પોક્સો કેસમાં પોલીસ અધિકારીઓની મહેરબાનીથી ફરાર રહેલા બે આરોપીઓએ ફરિયાદીના ભાઈની તાજેતરમાં હત્યા કરી નાંખી હતી. આ ચકચારી તેમજ ચર્ચાસ્પદ બનેલા હત્યા કેસમાં રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયે (Rajkot Range DIG Nirlipt Rai) ઝંપલાવતા બે તત્કાલીન પીઆઈ, એક પીએસઆઈ અને એક એએસઆઈને સસ્પેન્ડ કરી દીધા હતા. બીજી તરફ હત્યા કેસના આરોપીઓને ઝડપી લેવા માટે બનાવેલી ટીમનું સુપરવિઝન ASP સિમરન ભારદ્વાજને સોંપ્યું હતું.
વર્ષ 2024માં નોંધાયેલા દુષ્કર્મ અને પોક્સોના કેસમાં બે આરોપી મહેન્દ્રસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજા ફરાર (Two accused absconding in rape and POCSO case) હતા. બબ્બે વર્ષ વીતી જવા છતાં અતિ ગંભીર એવા દુષ્કર્મ અને પોક્સોના કેસમાં આરોપીઓને પકડવાની પોલીસ અધિકારીઓએ જરા સરખી પણ તકલીફ લીધી નહીં. દરમિયાનમાં ગત 20 તારીખે મહેન્દ્ર અને યથપાલ જાડેજાએ દુષ્કર્મ અને પોક્સો કેસના ફરિયાદીના ભાઈને રસ્તામાં આંતરી તિક્ષણ હથિયારના 9 જેટલાં ઘા ઝીંકી દઈ હત્યા કરી બંને ફરાર થઈ ગયા હતા. બે વર્ષથી પોલીસ ચોપડે વૉન્ટેડ અપરાધીઓએ બીજો અતિ ગંભીર અપરાધ કરતા Nirlipt Rai હરકતમાં આવતા પોલીસ આરોપીઓને પકડી લાવી છે.








