નવજીવન ન્યૂઝ.જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલો આતંકી હુમલો આજે પણ લોકોના મનમાં તાજો છે. આ દુખદ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે, છતાં તે દિવસની યાદો આજે પણ લોકોના દિલમાં ઊંડી વેદના જગાવે છે. આ હુમલામાં કુલ 26 લોકોના મોત થયા હતા, જેમાં આદિલ હુસૈન શાહનું નામ પણ સામેલ હતું.

આદિલ વ્યવસાયે સામાન્ય પોનીવાલા હતા, જે પર્યટકોને ઘોડેસવારી કરાવીને રોજગાર કમાતા હતા. પરંતુ હુમલાના દિવસે તેમણે જે હિંમત અને માનવતા બતાવી, તે તેમને હંમેશા માટે એક હીરો તરીકે સ્થાપિત કરી ગઈ. ગોળીબાર શરૂ થતાં જ જ્યાં લોકો પોતાની જાન બચાવવા ભાગી રહ્યા હતા, ત્યાં આદિલે પોતાની જાનની પરવા કર્યા વિના પર્યટકોને બચાવવાનો પ્રયાસ કર્યો. તેમણે એક આતંકીની રાઇફલ પણ પકડી લીધી હતી, પરંતુ અંતે તેઓ આતંકીઓની ગોળીનો ભોગ બન્યા.
આ ઘટનાના એક વર્ષ બાદ પણ આદિલનો પરિવાર આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. તેમના પિતા સૈયદ હૈદર શાહ પોતાના દીકરાને યાદ કરતાં ભાવુક થઈ જાય છે. તેઓ કહે છે કે, “સરકાર કેટલી પણ મદદ કરે, સહાનુભૂતિ આપે, પરંતુ મારા દીકરાની ખોટ ક્યારેય પૂરી થઈ શકશે નહીં.”
સરકાર અને અનેક નેતાઓ દ્વારા આદિલના પરિવારને સહાયતા આપવામાં આવી છે. ખાસ કરીને મહારાષ્ટ્રના ઉપમુખમંત્રી એકનાથ શિંદે દ્વારા પરિવારને આર્થિક મદદ સાથે ઘર બનાવવાનો વાયદો કરવામાં આવ્યો હતો, જે હવે પૂર્ણ થયો છે. પરિવારને શ્રીનગર બોલાવી તેમની મુલાકાત પણ લેવામાં આવી હતી અને સતત સંપર્કમાં રહી તેમને માનસિક સહારો આપવામાં આવ્યો હતો.
જમ્મુ-કાશ્મીર સરકારે પણ પરિવારને મદદરૂપ થવા પગલાં લીધાં છે. આદિલની પત્નીને કાયમી સરકારી નોકરી આપવામાં આવી છે, જ્યારે તેમના નાના ભાઈને વકફ બોર્ડમાં નોકરી અપાઈ છે. ઉપરાંત પરિવારને 5 થી 7 લાખ રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવી છે.
પરિવાર આ તમામ મદદ માટે આભારી છે, પરંતુ તેમના દિલમાં રહેલું ખાલીપણું હજુ યથાવત્ છે. આદિલની શહાદત આજે પણ માનવતા અને બહાદુરીનું જીવંત ઉદાહરણ બની રહી છે.








