નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધ્યો છે. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા આજે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. તેઓએ સમર્થકોના કાફલા સાથે પહોંચી ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.
સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન
માહિતી મુજબ, રાજુ કરપડા લગભગ 200થી વધુ ગાડીઓના કાફલા સાથે પોતાના સમર્થકોને લઈને કમલમ પહોંચ્યા હતા. આ પ્રવેશને રાજકીય શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.
AAPમાં ભૂમિકા
રાજુ કરપડા આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ પાર્ટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી સક્રિય હતા અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતા નેતા તરીકે ઓળખાતા હતા.
ચૂંટણી પહેલાં અસર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આ જોડાણને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ભાજપ તેમને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પ્રચારની જવાબદારી સોંપી શકે છે તેવી માહિતી પણ સામે આવી છે. જોકે ચૂંટણી લડવાથી લઈને નેતાઓ દ્વારા રાજુ કરપડાને ગદ્દાર કહેવાના મામલાઓનું તેમણે ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમ્ બહાર જ કરી નાખ્યા છે. નવજીવન ન્યૂઝ સાથે તેમણે કરેલી ખાસ વાતનો ઈન્ટરવ્યૂ અહીં અહેવાલને અંતે દર્શાવ્યો છે.
પહેલાં રાજીનામું આપ્યું હતું
રાજુ કરપડાએ થોડા સમય પહેલાં જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. રાજીનામા બાદ તેમના આગામી રાજકીય પગલાં અંગે અટકળો ચાલી રહી હતી, જે હવે ભાજપમાં જોડાવાથી સ્પષ્ટ થઈ ગઈ છે.








