નવજીવન ન્યૂઝ, રાજકોટ : રાજકોટ એઈમ્સ (AIIMS Rajkot) ના ઈન્ટર્ન ડૉક્ટર રતન મેઘવાલે ગત માર્ચ મહિનાની 14 તારીખે કરેલા આપઘાતના કેસમાં ઝડપાયેલા 5 વિદ્યાર્થીઓને શરતોને આધીન સેશન્સ કૉર્ટે જામીન પર મુક્ત કર્યા છે. રતન મેઘવાલની સ્યુસાઇડ નોટમાં આપઘાત કરવા મજબૂર કરનારા પાંચ વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કર્યો હતો. જેના આધારે ગાંધીગ્રામ પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
મૂળ રાજસ્થાનના રતન મેઘવાલ છેલ્લાં ચાર વર્ષથી એઈમ્સ રાજકોટ ખાતે MBBS નો અભ્યાસ કરતા હતા. રતન મેઘવાલે 14 માર્ચના રોજ ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલી ગાંધીગ્રામ પોલીસને પ્રાથમિક તપાસમાં સ્યુસાઇડ નોટ મળી આવી હતી. સ્યુસાઇડ નોટના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન (Gandhigram Police Station) માં પાંચ વિદ્યાર્થીઓ સામે નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. મૃતકના પરિવારજનો તેમજ સંબંધિત લોકોના નિવેદન મેળવવાની સાથે સાથે પોલીસે એઈમ્સ રાજકોટમાં અભ્યાસ કરતા પાંચ શખસોની ધરપકડ કરી હતી. મૃતક વિદ્યાર્થી રતન મેઘવાલને એક યુવતી સાથે એક તરફી પ્રેમ હોવાની શંકા રાખીને પાંચેય શખસો મૃતકને અવાર નવાર માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા. આ ઉપરાંત રતન મેઘવાલને માર મારતા હોય તેવો વીડિયો બનાવીને બદનામ કરતા હતા.
મૃતક રતન મેઘવાલના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પ્રણવ પાલીવાલ, યુવરાજ ચૌધરી, આયુશ યાદવ, નિર્વિધ્નમ યાદવ અને અસ્મિત શર્માની પોલીસે ધરપકડ કરી હતી અને બાદમાં જેલમાં ધકેલાયા હતા. આત્મહત્યા દુષ્પ્રેરણના કેસમાં પાંચેય આરોપીઓએ જામીન મેળવવા માટે અદાલતના દ્વાર ખખડાયા હતા. સેશન્સ કોર્ટે આરોપીઓને તપાસમાં સહકાર આપવા અને દેશ બહાર ન જવાની શરતે જામીન પર મુકત કરવા આદેશ કર્યો છે.








