નવજીવન ન્યૂઝ, ભાવનગર : ભ્રષ્ટાચારીઓને પકડી પાડતી Gujarat ACB ને અનેક કેસોમાં આરોપીઓ થાપ આપી જાય છે. ક્યારેક ફરિયાદીની શંકાસ્પદ વર્તૂણૂંકના કારણે ચેતી જતાં લાંચિયા બાબુઓ એસીબીની ટ્રેપ દરમિયાન લાંચ સ્વીકારવાનું ટાળી દે છે અથવા તો લાંચની રકમ લઈને ભાગી જવાના કેસ બને છે. આવી જ એક ઘટના વર્ષ 2024માં ભાવનગર જિલ્લામાં બની હતી. જિલ્લાના તત્કાલીન મહુવા મામલતદાર જે. સી. મહેતાના ACB Trap ના કેસમાં આવું જ કાંઈક થયું હતું. લાંચનું છટકું સફળ નહીં જતાં 27 મહિના બાદ નિવૃત્ત મામલતદાર જયેશ મહેતા સામે ડિમાન્ડનો કેસ એસીબી ભાવનગર પોલીસ સ્ટેશન (ACB Bhavnagar Police Station) ખાતે નોંધાયો છે.
શું હતો લાંચ કેસ ?
મહુવા તાલુકાની પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્ર ખાતે સંચાલક કમ કુક તરીકે સેવા આપતા હતા. જેમની પાસેથી મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક કમ કુકની કામગીરીમાં કોઈ અડચણ ઊભી નહીં કરવા તેમજ હેરાન-પરેશાન નહીં કરવાના બદલામાં 50 હજારની લાંચ માગી હતી. લાંચની રકમ પૈકી 10 હજાર મહુવાના તત્કાલીન મામલતદાર જયેશકુમાર ચીમનલાલ મહેતા ઉર્ફે જે. સી. મહેતા (Mahuva Mamlatdar J C Mehta) એ 1 જાન્યુઆરી 2024ના રોજ સ્વીકારી હતી. જ્યારે બાકીના 40 હજારની માગ ચાલુ રાખતા ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જો કે, ટ્રેપ દરમિયાન જે. સી. મહેતાને શંકા જતાં તેણે લાંચની રકમ સ્વીકારી ન હતી.
આરોપી મહેતાએ વૉઇસ સેમ્પલ આપવાની ના પાડી
લાંચનું છટકું સફળ નહીં જતાં Team ACB એ આરોપી અને ફરિયાદી વચ્ચે થયેલી વાતચીતના રેકૉર્ડિગને ફૉરેન્સિક સાયન્સ લેબૉરેટરીમાં તપાસ માટે મોકલી હતી. આરોપી જે. સી. મહેતાને એસીબીએ વૉઇસ સેમ્પલ આપવાનું કહેતા તેમણે વિરોધ કર્યો હતો. જેથી ભાવનગર એસીબીએ ફરિયાદીના વૉઇસ સેમ્પલને FSL માં મોકલી આપ્યું હતું. જેનો રિપૉર્ટ પોઝિટિવ આવતા એસીબીએ ડિમાન્ડનો કેસ નોંધ્યો છે.








