ફૈઝાન રંગરેજ (નવજીવન ન્યૂઝ.વિસાવદર): ‘આ ચૂંટણીમાં માત્ર ટુ પાર્ટી ફાઈટ છે. બાકી બધી વાતો છે. એક તરફ વિસાવદરના ખેડૂતો ખેત મજૂરો માલધારીઓ, પશુપાલકો, રત્ન કલાકારો, વેપારીઓ અને આમ જનતા છે અને બીજી બાજુ પૈસા પોલીસ ગુંડાઓના દમ ઉપર ચૂંટણી લડતી ભાજપ છે બે જ પક્ષો છે. ભાજપ અને જનતા વચ્ચે આ ચૂંટણી લડાઈ રહી છે.’ જે આમ આદમી પાર્ટીના વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા ચૂંટણી ફોર્મ ભરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના હાલના વર્તમાન મુખ્યમંત્રી ભગવંત માન તેમજ દિલ્હીના નેતા આતિસિ સિંગ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સાથે જ ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી. ઉપરાંત આ દરમિયાન પોલીસ સાથે પણ તીખી ટણી-ટિપ્પણી થઈ હતી જે બાદમાં સ્થિતિ શાંત થઈ હતી. ચૂંટણી ફોર્મ ભર્યા બાદ ગોપાલ ઈટાલિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. સાથે જ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ઉપર પણ તેમણે પ્રહાર કર્યા છે. આગામી દિવસોમાં વિસાવદર ઉપર ચૂંટણી થવાની છે તે ચૂંટણીના પડકારોને લઈને ગોપાલ ઈટાલિયા શું વાત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના અત્યાર સુધી જે ઉમેદવારોની જાહેરાત નથી થઈ તેને લઈને તેમણે શું પ્રતિક્રિયા આપી છે તે સમગ્ર બાબતો જાણીશું.
પોલીસ સાથે શું થઈ માથાકૂટ
આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ચૂંટણી ફોર્મ ભરવા માટે પ્રાંત કચેરી પહોંચ્યા ત્યારે પાર્ટીના પ્રદેશ નેતાઓ તેમજ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓ પણ ઈટાલિયા સાથે ચૂંટણી ફોર્મ ભરવાના કાર્યક્રમમાં જોડાયા છે. ત્યારે સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગ્યા પાછળથી પ્રાંત કચેરી પહોંચ્યા હતા. તે દરમિયાન તેમનો આરોપ છે કે, પોલીસ દ્વારા તેમને અંદર જવા દેવામાં નહોતા આવતા હતા. આને જ લઈને સુરતના કોર્પોરેટર અને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્ય પણ સામે આવ્યા છે. જેમાં વિપુલ સુહાગ્યા દ્વારા જાહેરનામું માંગવામાં આવ્યું હતું કે એમને જાહેરનામું આપો કે કયા પ્રાંત અધિકારીમાં નિયમ કરવામાં આવ્યો છે કે પાંચથી વધારે લોકો પ્રાંત અધિકારી કચેરીમાં ના જઈ શકે ત્યારે બીજી તરફ પોલીસ ઇન્સ્પેક્ટર પણ પોતાની વાત મૂકી રહ્યા હતા અને વધારે લોકોને અમે મંજૂરી નથી આપી શકતા ચૂંટણી પ્રોટોકોલ પ્રમાણે તે પ્રકારની વાત તેઓ દ્વારા કરવામાં આવી રહી હતી. આને લઈને ઉગ્ર બોલાચાલીના દ્રશ્ય સર્જાયા હતા.
જે બોલાચાલીમાં શબ્દ પ્રયોગ થયો હતો કે, ભાજપની દલાલી કરે છે, દલાલી તું કરતો હોય… ઓ ભાઈ આ ધકો વાગે છે, કોણ ધક્કો મારે છે, એ ધક્કો શું કામ મારે છે, કેમ ધક્કામુક્કી કરે છે… તમે હું હમજો છો… કોર્પોરેટરે આ અંગે કહ્યું કે, આમ આદમી પાર્ટી અમારા ગોપાલભાઈ ઈટાલિયા આજે પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા ગયા છે. તો અમે એમની સાથે એમને એમને સપોર્ટ કરવા માટે અહીં આવ્યા. એમના જે વકીલ છે એમને લઈને હું અંદર જતો હતો, તો અમારી સાથે તાનાશાહી, ગુંડાગર્દી, આ પોલીસ કરી રહી છે. એમ તમે જોયું મીડિયામાં તમે મીડિયા સાથે હતા કઈ રીતે મને ધક્કામુક્કી કરીને ગુંડાગીરી કરીને અત્યારે મને અહીં આ કેમ્પસથી બહાર કાઢવામાં આવ્યો છે. અમે મારા એડવોકેટ સાથે ગોપાલભાઈ ઇટાલિયાનું ફોર્મ ભરવા ગયા છે. એમની સાથે અંદર જવાની વાત કરી એટલે એમને કીધું કે, તમે નહીં જઈ શકો, જાહેરનામું છે કઈ વાંધો નહીં અમને જાહેરનામું બતાવો. નહી બતાવવામાં આવે, આવી તાનાશાહી, આવી દાદાગીરી કરે છે. આ પોલીસ અમને કેમ્પસની બહાર જતા રહો, મને ઢસડી કેમ્પસની બહાર લાવ્યા, મને ધકેલીને પાછળ ઢીંગા પાટુંનો માર મારીને મને કેમ્પસની બહાર કાઢવામાં આવ્યો છે.
હું સુરતથી છું આમ આદમી પાર્ટીનો કોર્પોરેટર છું. મારું નામ વિપુલ સુહાગીયા, આ દાદાગીરી તમે જોઈ અત્યારે આ પોલીસની, આની જગ્યાએ જો ભાજપના કોર્પોરેટર કોઈ ભાજપના નેતા હોત તો એની સાથે આ આવું કરે? કર્યું હોત? આ લોકોએ આ ભાજપની દલાલી કરે છે. ભાજપની દલાલી, સરકારની દલાલી કરે અને પબ્લિકના પૈસાના ટેક્સપયરોના પૈસાના પગાર આપવામાં આવે છે. તમે જોવો આ ગુંડાગર્દી, આ પોલીસ આ 20 દિવસ આનું આજ કરવાના છે. આ લોકો આવી રીતે ચૂંટણી જીતવા માગે છે.
પોલીસ ઈન્સપેક્ટરે જવાબ આપ્યો કે, તમે આપના છો, કોંગ્રેસના છો, કે બીજેપીના છો મોઢા ઉપર લખેલું ના હોય હવે પૂછવું તો પડેને. મેં એમ કીધું કે ભાઈ તમે પ્રેમથી બોલો તમારું કામ શું? મને કે સાહેબ અમારા ઉમેદવાર છે. કોંગ્રેસનાને ફોર્મ લેવા જાય છે, અલાઉ કરી દીધા બરાબર જતા ગયા. હવે તમારે મને કહેવું તો પડેને એમનેમ તો મને ખબર ન પડે, બીજું કે તમે એમ કહો કે હું તમને પ્રેમથી એટલા માટે ઊભા રાખું કે, બિન જરૂરી આપણે કઈ મતલબ નથી. કઈ તમે અહીં ઊભા રહો તો વજન નથી વધી જવાનું. મને તો આઈડિયા નથી કે અંદર કોણ છે. તમારે એનો ટોન હોયને તમે ભાજપની દલાલી કરો ગુલામી કરો છો પણ એમ નહીં, તમે મારી વાત સાંભળો તમે શાલીનતા ના રાખો, અમારી પાસેથી તમામ પ્રકારની ઉત્તમ વર્તણૂકની અપેક્ષા રાખો. એનો શું મતલબ. તમે મને દલાલ કહો છો, હું-તમે મળ્યા પહેલી વાર, તમને ખબર નથી કે, હું કોણ છું, મારું નામ, મારી નોકરીને કેટલો ટાઈમ થયો, તમને એ ખબર નથી કે હું કેટલા ટાઈમથી છું આ જિલ્લામાં. બરાબર તો મારે શું મતલબ હોય, એનો મતલબ. તમે મજા આવે એમ વર્તન કરો? તમે ખાખી વર્દી પહેરેલાને તમને મજા આવે એમ બોલી જાવએ તો ન ચાલે. પછી મારે સામે એ જ ભાષામાં જવાબ દેવો પડે.
ગોપાલ ઈટાલિયાએ ફોર્મ ભર્યા પછી શું કહ્યું?
ગોપાલ ઈટાલિયાએ ફોર્મ ભર્યા પછી નવજીવન ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે, મને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા બાદ આજે પાર્ટીના રાષ્ટ્રીય અને અમારા સ્થાનિક નેતાઓ મને પ્રોત્સાહન પૂરું પાડી પ્રેરણા પૂરી પાડી. આ સાથે વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાંથી હજારો લોકો સ્વયંભુ આવ્યા અને સ્વયંભુ આવી અને વિસાવદરની બજારોમાં જાણે એક ક્રાંતિ થવાની હોય એવી અભૂતપૂર્વ જન મેદની સાથે આ પંથકના તમામ સમાજના અઢારેય વર્ણના લોકોએ મને આજે આશીર્વાદ આપ્યા અને વાંચતે ગાચતે મહાનુભવોની ઉપસ્થિતિ સ્થિતિમાં આ પંથકના ખેડૂતો ખેત મજૂરો માલધારીઓ રત્ન કલાકારોની ઉપસ્થિતિમાં આજે મારું ફોર્મ પ્રાંત અધિકારી અને ચૂરણી અધિકારી વિસાવદરની કચેરીમાં ભર્યું છે. મને ખૂબ ખુશી છે અને ખૂબ આશા છે કે આ પંથકમાંથી વિસાવદરની જનતા, ભેંસાણની જનતા આ ચૂંટણીમાં ક્રાંતિ કરશે અને મને ચૂંટણી જીતાડશે.
ચતુષ્કોણીય જંગ અંગે ગોપાલ ઈટાલિયાએ અત્યંત તીખી વાત કરતા કહ્યું કે, આ ચૂંટણીમાં માત્ર ટુ પાર્ટી ફાઈટ છે બાકી બધી વાતો છે. એક તરફ વિસાવદરના ખેડૂતો, ખેત મજૂરો, માલધારીઓ, પશુપાલકો, રત્ન કલાકારો, વેપારીઓ અને આમ જનતા છે અને બીજી બાજુ પૈસા, પોલીસ, ગુંડાઓના દમ ઉપર ચૂંટણી લડતી ભાજપ છે, બે જ પક્ષો છે. ભાજપ અને જનતા વચ્ચે આ ચૂંટણી લડાઈ રહી છે અને મને વિશ્વાસ છે કે, જ્યાં જનતા સંકલ્પ કરે છે, જનતા મુઠ્ઠી બાંધી લે છે ત્યારે ભલભલી સત્તા પૈસા પોલીસ ગુંડાની તાકાત ટૂંકી પડે છે. આ ચૂંટણી વિસાવદર, ભેંસાણની જનતા પોતે લડે છે. આ ચૂંટણી સ્વયંભૂ લડાઈ છે અને આ ચૂંટણીમાં જનતાનો વિજય થશે એવો મને વિશ્વાસ છે.
વરસાદના ટાંણે ચૂંટણી મામલે ગોપાલ ઈટાલિયાએ કહ્યું, આ ચૂંટણી એ વાવણીના સમય ઉપર આવી છે એટલે સ્વાભાવિક છે કે, વરાપ હોય અથવા વરસાદ હોય તો ખેડૂતો, ખેત મજૂરો, અશક્ત માણસો, બીમાર માણસો, વૃદ્ધ માણસો મત દેવા ન જઈ શકે તો અમે ચૂંટણીપંચને રજૂઆત કરશું કે વિશેષ એરેન્જમેન્ટ કરે, વિશેષ વ્યવસ્થાઓ કરે, કે જો વરસાદ હોય તો મતદાન કેવી રીતે વધે. અમે પણ પાર્ટી તરફથી પ્રયત્ન કરીશું. અમારી જનસભામાં લોકોને અમે વિનંતી પણ કરીશું કે, મતદાનની અંદર વધુને વધુ મતદાન થાય એવી જનતા પોતે કોશિશ કરે. અમે કોંગ્રેસને ગણતા જ નથી, આમાં હરિફાઈ ભાજપ અને જનતા વચ્ચે જ છે બાકી બધા તો અમે બધા તો નિમિત છીએ એક બાજુ ભાજપનો પૈસાનો પોલીસનો ગુંડાનો પાવર છે. એક બાજુ જનતાની આશા અપેક્ષા અને વેદનાની ચૂંટણી છે. એક તરફ આમ જનતા છે, જે આશા સાથે ચૂંટણીમાં ઉતરી છે. એક બાજુ સત્તાનો અહંકાર લઈને ભાજપ ઉતરી છે. બીજી કોઈ પાર્ટી કે બધું નિમિત છે. મેં કીધું એમ આ ચૂંટણી વિસાવદર ભેંસાણની આમ જનતા લડી રહી છે. આમ જનતા પોતાના સંકલ્પના બળ ઉપર આ ચૂંટણી જીતશે.
કોંગ્રેસ-ભાજપે હજી સુધી ઉમેદવાર જાહેર નથી કર્યા તે અંગે ગોપાલ ઈટાલિયા કહે છે કે, એમની પાસે છે મજબૂત ઉમેદવાર જ નથી, ઉમેદવાર હોય તો તો ના બહાર કાઢે? હોય નહીં એટલે જ તો. કોંગ્રેસ-ભાજપ પોતાની પાસે ઉમેદવાર નથી. નહીંતર પેટા ચૂંટણી છે, માત્ર બે સીટોની ચૂંટણી છે, ઉમેદવાર જાહેર કરવામાં વાર કેટલી લાગે? એટલી બધી વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી છે. શિષ્ટબદ્ધ કહેવાતી પાર્ટી છે, આટલું બધું બહુ મોટા એના વિશે વાતો થાય છે તો કેમ ઉમેદવાર જાહેર નથી કરી શકતા કેમ કે એની પાસે છે જ નહીં એવો કામનો માણસ એટલે નથી જાહેર કરતા. છતાંય ગમે ત્યાંથી પછી ગોતીને ગમે તેવો માણસ રજૂ કરી દેશે.
ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ઉતરશે પ્રચારમા તો? તેમણે કહ્યું કે, આ નેતાઓની ફોજ ઇકોજોન વખતે કેમ ન ઉતરી? ગઈ સાલ દિવાળી ઉપર અતિવૃષ્ટિ થઈ માવઠું આવ્યું મગફળી, પાથરા તણાઈ ગયા ત્યારે આ સંઘવી, પાટીલ, ભૂપેન્દ્ર પટેલની આખી નેતાઓની ટીમ કેમ ના ઉતરી? આ વિસ્તારની અંદર હમણાં જ ટેકાના ભાવના ખરીદીમાં ખેડૂતોને લૂંટી લીધા ત્યારે કેમ આ ફોજ ન ઉતરી? ખેડૂતોની વારે આવવા માટે? આ હમણાં હમણાંની જ વાત છે ખાતરની અછત હજુ હમણાં સુધી હતી અને 600 રૂપિયા વાળો બાટલો પરાણે ભટકાડે છે. તો કેમ આ નેતાઓની ફૌજ નથી ઉતરતી ખેડૂતોને બચાવવા? ચૂંટણી આવે તો ભાજપમાં હોય એટલા બધા નેતા વિસાવદર આવશે પણ ઇકોઝોનનો પ્રશ્ન હોય, જમીન માપણીનો પ્રશ્ન હોય, અતિવૃષ્ટિની સહાયનો પ્રશ્ન હોય, માલધારીઓનો પ્રશ્ન હોય, રત્ન કલાકારોન પ્રશ્ન હોય તો એકેય નેતા દેખાતો નથી તો જનતા જાગૃત છે. અહીં જનતા પોતે બધું જ જાણે છે અને જનતા સારો નિર્ણય કરશે.








