નવજીવન ન્યૂઝ. સુરત: છેલ્લા ઘણા સમયથી વાલીઓનું ધ્યાન ન હોવાના કારણે બાળકો ઇજાગ્રસ્ત થાય અને મૃત્યુ પામે તેવી ઘટનાઓ સામે આવી આવી છે, જે ચિંતાનો વિષય છે. આવો જ એક કિસ્સો સુરતમાં (Surat) સામે આવ્યો છે. જેમાં એક બાળકીની માતા કામમાં વ્યસ્ત હતી અને બાળકી રૂમમાં બેડ પર રમી રહી હતી. તે દરમિયાન બેડની નજીક આવેલી બારી ખુલ્લી હોવાને કારણે બાળકી ચોથે માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. બાળકીને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) લઈ જવામાં આવી હતી, પરંતુ બાળકીને સારવાર મળે તે પહેલા જ બાળકીનું મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર, આજે સવારે 10 વાગ્યાના અરસામાં દોઢ વર્ષની બાળકી રૂમમાં બેડ પર એકલી રમી રહી હતી. તે દરમિયાન બાળકીના માતા કામમાં વ્યસ્ત હતા અને પિતા નોકરી ગયા હતા. બાળકી જ્યાં રમી રહી હતી તે બેડની નજીક આવેલી કાચની બારી ખુલ્લી હતી. આ બાળકી રમતા-રમતા બારીમાંથી ચાર માળ નીચે પટકાઈ હતી. બાળકી નીચે પટકાતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સિક્યુરિટી ગાર્ડે બાળકીના પરિવારને જાણ કરતાં તેની માતા પણ નીચે દોડી આવી હતી. ત્યાર બાદ તાત્કાલિક આ બાળકીને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
હોસ્પિટલમાં બાળકીને સારવાર મળે તે પહેલા હોસ્પિટલમાં જ બાળકીનું મૃત્યુ થયું હતું. બાળકીના મૃત્યુથી માતનું હોસ્પિટલમાં ભારે આક્રંદ જોવા મળ્યું હતું. તેમજ આ બાબતની જાણ મૃતક બાળકીના પિતાને કરવામાં આવતા તે પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. કેટલીક વાર અજાણે જ વાલીઓની બેદરકારી બાળકોનો જીવ લઈ લેતી હોય છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








